September 19, 2024

UPમાં માળીની બર્બરતા, ત્રણ બાળકોને ઝાડ સાથે બાંધીને આપી તાલિબાની સજા

Uttar Pradesh: ક્રાઇમ સ્ટેટ ગણાતા ઉત્તર પ્રદેશથી બર્બરતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ત્રણ બાળકોને માત્ર અને માત્ર એટલા માટે ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો કારણ કે તેઓ કેરીની વાડીના રખેવાળને પૂછ્યા વગર વાડીમાંથી કેરીઓ વીણી રહ્યા હતા. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વાડીના રખેવાળે બાળકોને મોઢામાં કેરી ઠૂસી દીધી જેથી તેઓ બૂમો ના પાડી શકે અને તેમનો અવાજ કોઈ ન સાંભળી શકે. જોકે, સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં સ્થાનિક પોલીસ એક્શનમાં આવી અને આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

જણાવી દઈએ કે, ચૌકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પિપરિહા ગુરુ ગોવિંદ રાય ગામમાં આવેલ કેરીની વાડી માંથી કેરીઓ લેવાના આરોપમાં ત્રણ બાળકોને વાડીના રખેવાળે તાલિબાની સજા આપી. વાડીના રખેવાળે ત્રણેય બાળકોને ઝાડ સાથે બાંધી દીધા અને બાળકોને ઢોર માર મારવા લાગ્યો. જ્યારે બાળકો માર મારવાને કારણે જોરજોરથી રડવા લાગ્યા તો રખેવાળે બાળકોના મોઢામાં કેરી ઠૂસી દીધી જેથી તેઓ બૂમો ના પાડી શકે. જેથી વાડી બહારનું કોઈ તેમનો અવાજ ન સાંભળી શકે.

બાદમાં, વાડીના રખેવાળે બાળકોને વાડીમાં ફરી ન આવવા ચેતવણી આપીને જો ફરી આવ્યા તો આના કરતાં પણ વધારે માર મારવામાં આવશે ની ધમકી પણ આપીને છોડી દીધા. પરંતુ આ સમગ્ર ઘટના ક્રમ કોઈએ મોબાઇલમાં રેકોર્ડ કરી દીધો અને વાયરલ કરી દીધો. આ બર્બર ઘટનાનો વિડીયો વાયરલ થાત ત્રણેય બાળકોની માતા પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. સ્થાનિક પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી.

પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પ્રશાંત પાઠકે જણાવ્યું છે કે માસૂમ બાળકોને માર મારનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. વિડીયોમાં આરોપી બાળકોને બર્બરતાથી માર મારતો જોવા મળે છે. આરોપી પર મારપીટ, અપશબ્દો બોલવા, અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.