September 20, 2024

પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં કાતરાનો ઉપદ્રવ, ખેડૂતોને થઈ રહ્યું છે પારાવાર નુકસાન

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: સરહદી જિલ્લા બનાસકાંઠાના પાલનપુર પંથકમાં છેલ્લા 30 દિવસથી કાતરાનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ગવાર, મગફળી, ઘાસ સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે, વાદળછાયા વાતાવરણ વચ્ચે કાતરા નામની જીવાતનો નાશ થતો નથી અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. આ પરિસ્થિતિ કુદરત પર આધારિત છે. પરંતુ, અત્યારે તો ખેડૂતો નુકસાન ભોગવી રહ્યા છે.

ચોમાસાના પ્રથમ વરસાદ બાદ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવી અને મગફળી, ગવાર, ઘાસચારાનું વાવેતર કર્યું છે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ વાવેતર તો કર્યું પરંતુ પ્રથમ વરસાદ બાદ કાતરા નામની જીવાત ખેડૂતોના ખેતરમાં પડી છે પાલનપુર પંથકમાં સૌથી વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. કાતરા નામની જીવાતે ઘાસચારો અને ગવારના પાકને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે મગફળીના પાકમાં પણ કાતરા નુકસાન પહોંચાડી રહ્યા છે.

છેલ્લા 30 દિવસથી કાતરાનો ઉપદ્રવ છે. જોકે આ નાશ ફાવે એવી તો કોઈ દવા નથી પરંતુ આ કુદરત પર આધારિત છે. જો વધુ વરસાદ પડે તો કાતરા નામની જીવાત નાશ પામે અથવા તો તડકો નીકળે તો નાશ પામે. પરંતુ, છેલ્લા 20 દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને વાદળછા વાતાવરણને કારણે કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. એટલે, ખેડૂતોને તો નુકસાન પહોંચ્યું છે પરંતુ હજુ પણ જો વાદળછાયું વાતાવરણ રહે અને તડકો ન પડે અથવા તો વરસાદ ન પડે તો ખેડૂતોને ખૂબ જ નુકસાન પહોંચે તેવી પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે.

બનાસકાંઠા જિલ્લાનો ખેતીવાડી વિભાગ તો સલાહ આપે છે કે લીંબોળીના તેલનો છંટકાવ કરવો અથવા તો ઢાળિયાને સાફ રાખવા અને સૌથી વધુ ઉપદ્રવ પ્રથમ ઢાળિયાથી શરૂઆત થાય છે ત્યારે ખેતીવાડી વિભાગની શરૂઆત છે કે લીંબોળી નું તેલ પાણીમાં નાખીને છંટકાવ કરવા થી અસર થાય છે પરંતુ આ પણ અસરકારક નથી જોકે કાતરા નામની જીવાત એ કુદરત પર આધારિત છે અને કુદરતી રીતે નાશ પામે તો ખેડૂતો આ નુકસાની માંથી બચી શકે છે.