September 23, 2024

જામનગરના પ્રોબેશન DySP નયના ગોરડીયાએ પોતાના સંઘર્ષ અને સફળતાની કહાની વર્ણવી

સંજય વાઘેલા, જામનગર: આજના યુવાનો સરકારી નોકરી તરફ ખૂબ આકર્ષાઈ રહ્યા છે. પરંતુ તેમાં રહેલી મોટી સ્પર્ધાને લઇને તેઓ નાસીપાસ થાય છે. જેને લઈને અંતે ખૂબ મહેનત કરવા છતાં તેઓ પરીક્ષાની તૈયારી છોડી દે છે. જેથી તેમની કારકિર્દી માટે મહત્વના ગણાતા સમયનો દુરુપયોગ થાય છે ત્યારે જામનગરમાં પોલીસ દ્વારા કારકિર્દી અંગે માર્ગદર્શન માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સચોટ અને નિશુલ્ક માર્ગદર્શન અપાયું હતું. આ દરમિયાન પ્રોબેશન ડીવાયએસપી નયનાબેન ગોરડીયાએ પોતાના સંઘર્ષ અને સફળતાની કહાની વર્ણવી હતી. જે યુવાઓ માટે ખૂબ પથદર્શક સાબિત થઈ હતી.

જામનગર પ્રો. DySP નયના ગોરડીયા જણાવ્યું હતું કે, મોટાભાગના યુવાનો તૈયારી માટે લગ્ન અગાઉના સમયગાળાને જ સ્પષ્ટ સમય માને છે. પરંતુ તેવું નથી નયનાબેનના જણાવ્યા અનુસાર પોતાના લગ્ન થઈ ગયા અને ત્યારબાદ પોતાના પરિવારજનોની જવાબદારી સાથે-સાથે તેમને એક દીકરી પણ હોવાથી માતા તરીકેની જવાબદારી પણ તેઓ યશસ્વી નિભાવીને દિવસ-રાત સચોટ મહેનત કરી આ મુકામ સુધી તેઓ પહોંચ્યા છે. આથી લગ્ન પછી કરિયર ન બની શકે તેવી મોટાભાગના લોકોને મોઢે ચર્ચાથી વાતનું તેઓએ ખંડન પણ કર્યું છે.

આ પણ વાંચો: જામનગર પોલીસે ત્રણ મહિને પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરી

આમ જો સાચી દિશામાં યોગ્ય પરિશ્રમ કરવામાં આવે તો તેનું એક દિવસ સચોટ પરિણામ ચોક્કસ મળે છે આથી જામનગર અને દેવભૂમિ દ્વારકાના યુવાનોને પણ આ વાતથી વાકેફ કરવા અને યુવાનો ચોક્કસ દિશામાં કારકિર્દી અંગેની તૈયારીઓ કરે તે માટે જામનગર પોલીસના જુદા-જુદા અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

છેલ્લા કેટલાક સમયથી યુવાનો સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહ્યા છે, ઘણા એવા પણ વિદ્યાર્થીઓ છે જેવો ખરા અર્થમાં જરૂરિયાતવાળા હોઈ છે પરંતુ યોગ્ય માર્ગદર્શન ન મળવાને કારણે તેઓ યોગ્ય રીતે તૈયારી કરી શકતા નથી, ત્યારે પોલીસ દ્વારા જે માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.