September 20, 2024

પથ્થરમારાની ઘટના મામલે કોંગ્રેસને રાહત, HCએ 5 કાર્યકર્તાઓના જામીન મંજૂર કર્યા

અમદાવાદઃ શહેરમાં કોંગ્રેસ ઓફિસે પથ્થરમારાની ઘટના બની હતી. તે અંગે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે.

કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓને હાઇકોર્ટે મોટી રાહત આપી છે. જેલમાં બંધ પાંચેય કોંગ્રેસના કાર્યકર્તાઓના જામીન મંજૂર કર્યા છે. રૂપિયા 10 હજારના બોન્ડ પર ગુજરાત હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. વધુ તપાસની જરૂર ન હોવાથી બચાવ પક્ષે દલીલ કરી હતી. ત્યારે હાઇકોર્ટે તમામના જામીન મંજૂર કર્યા છે. પોલીસ દ્વારા મુદ્દામાલ પણ રિકવર કરી લેવામાં આવ્યો છે.

પોલીસની હાજરીમાં પથ્થરમારો થયો હતો
યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ત્યારે કોંગ્રેસ અને બીજેપીના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી. આ પરિસ્થિતિ વચ્ચે પોલીસને ડેમેજ કંટ્રોલ કરવું મુશ્કેલ બન્યું હતું. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરોએ એકબીજા પર દંડાના ઘા કર્યા હતા. તો પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ગાડીઓના કાચ પણ તૂટ્યાં હતા. બંને તરફથી જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તો આ ઘટનામાં પથ્થરમારામાં એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયો હતો. આ પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાહુલ ગાંધીના નિવેદન મામલે બબાલ
રાહુલ ગાંધીએ સંસદમાં હિંદુ વિરોધી નિવેદન આપ્યું હતું અને તેમને હિંસક કહ્યા હતા. ત્યારે સમગ્ર સંસદમાં હોબાળો થયો હતો અને દેશના હિંદુઓની લાગણી દુભાઈ હતી. ત્યારે આ મામલે રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ તેવી માગણી ઉઠી હતી. તેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તે પથ્થરમારામાં પરિણમ્યું હતું.