September 20, 2024

પાલનપુર પાસેથી બાયપાસ બનાવવા ખેડૂતોનો વિરોધ, વધુ જમીન પડાવવાનો આક્ષેપ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાને લઈ સરકાર દ્વારા બાયપાસનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા પાલનપુરની ફરતે બાયપાસ બનાવવા જમીન સંપાદનની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. સરકારની જમીન સંપાદન પ્રક્રિયા દરમિયાન જ હવે ખેડૂતો વધુ જમીન સરકાર હડપ કરતી હોવાના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્ષિત કરી રહ્યા છે. જો કે, આજે બાયપાસ જમીન સંપાદનથી પીડિત ખેડૂતો કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા અને વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં રજૂઆત કરી રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા જિલ્લાવાસીઓ માટે માથાના દુખાવા સમાન બની છે. જો કે, વર્ષોથી ચાલી રહેલી આ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સરકાર દ્વારા થોડા સમય પહેલા એરોમા સર્કલ પર બ્રિજ બનાવવાની વિચારણા કરી હતી. પરંતુ ત્યારબાદ 140 કરોડના ખર્ચે ઓવરબ્રિજની કામગીરીની વિચારણા બાદ પડતી મુકાઈ અને પાલનપુર ફરતે બાયપાસ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

આ નિર્ણય બાદ બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા બે જાહેરનામા પ્રસિદ્ધ કરી બાયપાસ માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જમીન સંપાદનની પ્રક્રિયા દરમિયાન સરકાર ખેડૂતો પાસેથી મળતીયાઓને સાચવવા જરૂરિયાત કરતાં વધુ જમીન સંપાદિત કરતી હોવાના આક્ષેપો સાથે ખેડૂતો લડતના મૂડમાં છે. અગાઉ ત્રણ જેટલા ગામોમાં ખેડૂતો દ્વારા અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારબાદ આંદોલનની રણનીતિ ઘડવા થોડા દિવસો અગાઉ પાલનપુર ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખોડલા ખાતે ખેડૂતોની બેઠક મળી હતી. જો કે, આજે ખેડૂતો બાયપાસમાં સરકાર વધુ જમીન હડપ કરી પૂરતું વળતર ન આપતી હોવાની રજૂઆતોને લઈ જિલ્લા મથક પાલનપુર ખાતે યોજાયેલા કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા અને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં ખેડૂતોએ પ્રશ્નોની રજૂઆત કરી અને તે બાદ વિપક્ષ નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોર સાથે ખેડૂતો જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જો કે, શહેરના જીઆઇડીસી વિસ્તારમાંથી યોજાયેલી ખેડૂતોની રેલી કલેક્ટર કચેરીમાં પ્રવેશે તે પહેલા જ સાંસદ ગેનીબેન ઠાકોર અને ખેડૂતો રસ્તા વચ્ચે બેસી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી એડિશનલ કલેકટરને આવેદનપત્ર પાઠવી 100 મીટરની જગ્યાએ ખેડૂતોની 60 મીટર જગ્યા બાયપાસમાં લેવાય, જે જગ્યા બાયપાસમાં લેવાય છે તેનું ખેડૂતોને બજારના ભાવે વળતર અપાય અને જે ખેડૂતોની જમીન જતા જે ખેડૂતો બિનખેડૂત થઈ રહ્યા છે, તે ખેડૂતોને ન્યાય અપાય તેવી અલગ અલગ માગણી તંત્ર સમક્ષ મૂકવામાં આવી છે.

ખેડૂતોની આ માગ નહીં સ્વીકારાય તો ખેડૂતો આગામી સમયમાં લડત આપશે. પરંતુ સાથે વિપક્ષ નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ખેડૂતોના હિતમાં લડતમાં જોડાવવા બાંહેધરી આપી છે. જિલ્લા મથક પાલનપુરમાં બાયપાસને લઈ ખેડૂતોના ખેતરેથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન હવે કોંગ્રેસના જનમંચ સુધી પહોંચી ગયું છે.