September 22, 2024

રેશનકાર્ડમાં ફાવી જતા વચેટિયાનો ધંધો બંધ! ભાવનગરમાં પહેલું રાશન મશીન મૂક્યું

ભાવનગરઃ દેશના સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર દ્વારા રેશનશોપ મારફતે અનાજ આપવામાં આવી રહ્યું છે. આ સુવિધાને આધુનિક બનાવતા હવે સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને 24*7માં કોઈપણ સમયે લાઈનોમાં ઉભા રહ્યા વગર અનાજ મળી શકે તેવા અન્નપૂર્તિ એટીએમ સેવાનો રાજ્યમાં પ્રથમવાર ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.

સામાન્ય અને ગરીબ પરિવારોની સુવિધામાં વધારો કરવા ભારત સરકાર તત્પર છે. આ પરિવારોની સુવિધામાં વધારો કરતા આજે સ્માર્ટ એફ.પી.એસ પાઇલટ પ્રોજેકટ અંતર્ગત રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ (ગ્રેઇન એટીએમ)નો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કરચલીયાપરામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, ભીખુસિંહજી પરમાર-અન્ન અને પુરવઠા મંત્રી ગુજરાત સરકાર તેમજ એલિઝાબેથ ફૌરે-યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, કન્ટ્રી પ્રતિનિધિ સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ અન્નપૂર્તિ એટીએમ 24 કલાક કાર્યરત રહેશે અને જેમ લોકોને એટીએમ માંથી 24*7 મળી શકે છે. તેમજ કોઈપણ રેશનકાર્ડ ધારક કે જે થંબ સિસ્ટમથી જોડાયેલા છે. તે ત્યાં આવી અંગૂઠો લગાવી તેને મળવા પાત્ર રેશનનો જથ્થો પ્રાપ્ત કરી શકશે. ભારત સરકાર દેશના 80 કરોડ લોકોને ફ્રી રાશન આપી રહ્યું છે. ત્યારે સામાન્ય અને ગરીબ પરિવારના લોકો કે જે મજૂરી કે અન્ય કામો વડે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેને લાઈનોમાં નહીં ઉભું રહેવું પડે અને અનુકૂળ સમયે આ સ્થળ પર આવી પોતાનું રાશન મેળવી શકશે. જેમાં રાજ્ય ઉપરાંત પરપ્રાંતિય તમામ નોંધાયેલા લોકો આ અનાજ મેળવવાના પાત્ર રહેશે. તેમજ કોઇપણ રેશનકાર્ડ ધારકને ઓછું વજન કે અન્ય કોઈ ફરિયાદમાંથી મુક્તિ મળશે.

આ એટીએમ લોકાર્પણ પ્રસંગે એક મહિલાને રાશન પણ આપવામાં આવ્યું હતું. તેમજ એટીએમ મશીનનું મહાનુભવો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે રાજયમાં સૌપ્રથમ આવા અન્નપૂર્તિ મશીનનો ભાવનગર ખાતે પ્રારંભ થતા લોકોમાં અલગ ખુશી જોવા મળી રહી છે અને સાચા અર્થમાં ગરીબોનું દર્દ સમજનારા આ સરકારના આવા પ્રેરણાદાયી પગલાંને આવકાર્યું હતું. હાલ આ મશીનમાંથી ઘઉં અને ચોખા મળી રહ્યા છે.