September 12, 2024

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે

મલ્હાર વોરા, ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાના કામો માટે રૂપિયા 381.16 કરોડની મંજૂરી આપી છે.

પીએમ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” સરદાર સરોવર નર્મદા બંધ-એક્તા નગરમાં નિર્માણ પામી છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એક્તા નગરનું સમગ્ર પરિસર અનેક પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વ ભરના પ્રવાસીઓનું કેન્દ્ર બન્યું છે અને મોટા પાયે ટુરીસ્ટ અહિં આવતા રહે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં સરળતા રહે સાથોસાથ સમય અને ઈંધણનો બચાવ થાય અને સમગ્ર ક્ષેત્રના ટુરીઝમ વિકાસને વેગ મળે તે હેતુથી આ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણની મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ આપેલી આ મંજૂરીના પરીણામે હાઈસ્પીડ કોરીડોરના ફેઝ-1ની કામગીરી અન્વયે વડોદરા નેશનલ હાઈવે 48 જંક્શનથી વુડા હદ સુધી છ-માર્ગીય રોડ તથા બંને બાજુ સર્વિસ રોડની કામગીરી, વુડા હદથી ડભોઇ સુધીની લંબાઇ પૈકી બાકી રહેલ 2.5 કિમી લંબાઇમાં સ્ટાન્ડર્ડ ચાર માર્ગીયકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.એટલું જ નહી, આ કામગીરીમાં બે અન્ડરપાસ અને બે એલીવેટેડ કોરીડોર પણ નિર્માણ થશે.તદનુસાર રતનપુર ચોકડી ઉપર તથા થુવાવી જંક્શન ઉપર 6 માર્ગીય વ્હિકલ અન્ડરપાસ તેમજ કેલનપુર ગામમાં અને સિનોર ચોકડી ઉપર 4 માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરીનો પણ સમાવેશ થશે.