June 30, 2024

બહારના ફૂડમાંથી જીવજંતુ નીકળે તો સીધો આ નંબર પર ફોન કરો, સરકારે જાહેર કરી ગાઇડલાઇન

અમદાવાદઃ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચજી કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. હાલમાં દૈનિક સમાચાર પેપરોમાં ‘ખાદ્ય ચીજ વસ્તુ/તૈયાર ખોરાકમાં વંદો-દેડકા-ઉંદર તથા અન્ય જીવજંતુઓ મળી આવે છે તેવા સમાચાર પ્રસિદ્ધ થયેલા છે જે સમાચારો બાબતે જણાવવાનું કે, હાલની ચાલતી ઉનાળાની સિઝનનાં કારણે જીવજંતુઓનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. જેના કારણે હોટલ-રેસ્ટોરન્ચ-ઢાબામાં ખોરાક બનાવવાની જગ્યાએ રસોડામાં ખાદ્ય ચીજ વસ્તુઓ બનાવ્યા બાદ યોગ્ય રીતે જાળવણી ન કરવામાં આવે તો અથવા તે બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રો મટીરિયલ્સને (ખાસ કરીને શાકભાજી) યોગ્ય રીતે સાફ કે સંગ્રહ ન કરવામાં આવે તો આવા બનાવો બનવાની શક્યતાઓ વધી જાય છે.

આ માટે તંત્ર દ્વારા હોટલો-રેસ્ટોરન્ટ-ઢાબાઓને ફૂડ સેફટી & સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 અને તે અન્વયેના ફૂડ સેફ્ટી & સ્ટાન્ડ્ર્ડસ (લાયસન્સિંગ & રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન, 2011ના શિડ્યુલ -IV મુજબની હાયજિન & સેનિટેશનની જોગવાઇઓનું પાલન થાય તે માટે ઇન્સપેક્શન કરી જરૂર પડે ઇમ્પ્રુવમેન્ટ નોટીસ આપવામાં આવે છે. જો આ નોટિસની સૂચનાઓનું પાલન ન કરવામાં આવે તો લાયસન્સ/રજિસ્ટ્રેશન રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે અને ફૂડ સેફ્ટી કાયદાની કલમ-56 હેઠળ રૂપિયા એક લાખ દંડની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સુરતમાં વધુ એક દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

તૈયાર ખોરાકમાં જીવજંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલો-રેસ્ટોરન્ટ-ઢાબા-કેન્ટીન -ભોજનાલયો ચલાવતા વેપારીઓની છે. તે માટે તેમણે રસોડાની સાફસફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્ઝોસ્ટ પંખા પર નેટથી કવર કરવા, દરવાજામાં જીવજંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સીસ્ટમને કવર કરવી, ઓથરાઇઝ્ડ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવી તથા તેનો રેકર્ડ સાચવવો વગેરે જેવી બાબતોની ખાસ તકેદારી રાખવાની રહે છે.

ગ્રાહકોએ જમતા પહેલાં હોટલ-રેસ્ટોરન્ટ-ઢાબાના રસોડાની સ્વચ્છતા જોઈ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર દ્વારા હાઇજિન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ-ઢાબાઓને હાઇજિન અને સેનિટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવ્યું છે, જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે. જો કોઇ ગ્રાહકને તેમને પીરસેલા કોઇ ખોરાકમાં જીવજંતુઓ મળી આવે તો તેમણે જે તે કોર્પોરેશન /જિલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમાં રાજ્ય કક્ષાએ કાર્યરત ફૂડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નંબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ તથા મોબાઇલ નબર ૯૦૯૯૦૧૩૧૧૬, ૯૦૯૯૦૧૨૧૬૬ અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ helpdesk.fdca@gmail.com પર ફરિયાદ નોંધાવી શકાય છે.