September 20, 2024

પાટણના રામનગરનો હરીપુરા વિસ્તાર બન્યો નર્કાગાર, લોકોને હાલાકી

ભાવેશ ભોજક, પાટણઃ શહેરના હરીપુરા વિસ્તારમાં વરસાદી પાણી અને ભૂગર્ભના પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે વિસ્તારના રહીશોને ભારે હાલાકીયો વેઠવી પડે છે. પાણી નિકાલ માટે પાલિકા તંત્ર દ્વારા કોઈ પ્રકારની વ્યવસ્થા ન કરતા આ વિસ્તારના લોકો હાલ નર્કાગાર જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. ઘર આગળ ગંદુ અને દૂષિત પાણી ભરાઈ રહેવાને કારણે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા સત્વરે આ વિસ્તારમાંથી પાણી નિકાલની કામગીરી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

પાટણમાં વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે કેટલાય વિસ્તારો ગંદકી ગ્રસ્ત બન્યા છે. રામનગર વિસ્તારમાં આવેલ હરિપુરા પરુ પણ ગંદકી ગ્રસ્ત બન્યું છે. આ વિસ્તારમાં સોસાયટી વિસ્તારની ગટરો ઉભરાતા તેના પાણી વરસાદી ભળતા આ પાણી માર્ગો ઉપર ભરાઈ રહેતા લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડે છે.

ઘર આગળ કાદવ અને ઢીંચણસમા પાણીમાં થઈને પસાર થવા લોકો મજબૂર બન્યા છે. આ ગંદા અને દૂષિત પાણીમાં થઈને વિદ્યાર્થીઓ શાળામાં જવા મજબૂર બન્યા છે. દૂષિત અને ગંદા પાણીને કારણે રોગચાળો ફેલાવવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

હરીપુરા વિસ્તારમાં 500થી વધુ મકાનો આવેલા છે. ત્યારે છેલ્લા બે વર્ષથી આ પ્રકારની સમસ્યા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી પાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારમાંથી ભૂગર્ભના પાણી નિકાલ માટેની સત્વરે વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ ઉઠી છે.