May 19, 2024

મુંબઈ ટીમનો વિજયી સૂર્યોદય કરવા સૂર્યકુમાર તૈયાર!

IPL 2024: રવિવારે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલા સતત ત્રણ હાર સાથે IPL 2024 સીઝનની શરૂઆત કરનાર મુંબઈ ઈન્ડિયન્સ માટે એક સારા સમાચાર છે. ટીમનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટીમ સાથે જોડાયો છે અને શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. જોકે, યાદવને કેવી રીતે હાર્દિક મેદાન પર ઊતારે છે એના પર બધો આધાર છે. પણ હાર્દિકના નેતૃત્વમાં ટીમ હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી. જ્યારે રોહિત શર્માના નેતૃત્વમાં ભલે મુંબઈએ કોઈ વિજયી શરૂઆત કરી ન હતી પણ મીડ ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરીને સેમિફાઈનલ સુધી ટીમ પહોંચી હોય એવા પણ કિસ્સા છે.

ટીમ સાથે જોડાયો
સૂર્યકુમાર યાદવ બે કલાકથી વધુ સમય સુધી નેટ પર પ્રેક્ટિસ કરી છે. સૂર્યકુમાર અન્ય ખેલાડીઓ કરતાં ઘણો વહેલો પ્રેક્ટિસ માટે પહોંચી ગયો હતો. આ સમયગાળા દરમિયાન, સૂર્યકુમારે મુંબઈના સ્પિનર ​​કુમાર કાર્તિકેય સામે ઘણા થ્રોડાઉન અને શોટ રમ્યા હતા. સૂર્યકુમારની સખત પ્રેક્ટિસ પછી, એવું માનવામાં આવે છે કે તે રવિવારે દિલ્હી સામેની મેચમાં રમશે, જે ત્રણ મહિના પછી સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરશે. જો આવું બને છે તો બેટરવિંગમાં સૂર્યકુમાર ખરા અર્થમાં મુંબઈની ટીમનો સૂર્યોદય કરી શકે છે. કારણ કે, એનો મેચ રેકોર્ડ ઘણો સારો છે.

આ પણ વાંચો: આજે હોમ ગ્રાઉન્ડ પર ‘રોયલ’ ટેસ્ટ, રાજસ્થાન સામે બેંગલુરુ જીત માટે ઉતરશે

મુંબઈને ખોટ સહન કરવી પડી
સૂર્યકુમાર ઈજા અને સ્પોર્ટ્સ હર્નિયા સર્જરીના કારણે લાંબા સમયથી ટીમની બહાર હતો. આ વર્ષની શરૂઆતથી તે કોઈ મેચ રમી શક્યો નથી. સૂર્યકુમારને તાજેતરમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી દ્વારા ફિટ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ટીમ સાથે જોડાયો હતો. IPLની વર્તમાન સિઝનમાં મુંબઈની શરૂઆત સારી રહી નથી અને ટીમે પરાજયની હેટ્રિકનો સામનો કરવો પડ્યો છે. આ સમયગાળા દરમિયાન મુંબઈએ સૂર્યકુમારની ખૂબ જ ખોટ સહન કરી જે ટીમ માટે ઝડપથી રન બનાવવાની ક્ષમતા ધરાવે છે.

સૂર્યની વાપસી મુંબઈને તાકાત
આ ડેશિંગ બેટ્સમેન છેલ્લી ચારથી પાંચ સિઝનમાં મુંબઈ માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે અને આ સિઝનમાં તેની પ્રથમ ત્રણ મેચ હારી ગયેલી મુંબઈની ટીમે પ્લેઈંગ ઈલેવનમાં તેની ગેરહાજરી અનુભવી છે. તેના સ્થાને આવેલા પંજાબના ખેલાડી નમન ધીર હજુ ફોર્મમાં નથી. કેપ્ટન હાર્દિક પંડ્યાને હારમાંથી બહાર આવવા માટે ‘મિસ્ટર 360 ડિગ્રી’ની જરૂર પડશે. જોકે, સૂર્યકુમારને ક્યા ઓર્ડર પર મેચમાં ઊતારવામાં આવે એ પણ મેચ સ્કોર અને વિનિંગ પોઈન્ટ પર આધાર રાખે છે.

રાહતની વાત છે
આઈપીએલની વર્તમાન સિઝન બાદ આઈસીસી ટી20 વર્લ્ડ કપનું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવનાર છે. સૂર્યકુમાર આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં છે અને આ વૈશ્વિક ટૂર્નામેન્ટ દરમિયાન ભારત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની આશા છે. સૂર્યકુમારે તેની છેલ્લી મેચ ગયા વર્ષે ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર રમી હતી. તેણે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચમાં 56 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી અને મેચ દરમિયાન તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ 33 વર્ષીય બેટ્સમેને અત્યાર સુધી ભારત માટે 60 T20 મેચોમાં 171.55ના સ્ટ્રાઈક રેટથી 2141 રન બનાવ્યા છે.