June 30, 2024

સુરતમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા, આરોપીની ધરપકડ

કિરણસિંહ ગોહિલ, સુરતઃ જિલ્લાના ટ્રાયબલ તાલુકામાં એક નિર્દોષ બાળકીને નરાધમે હવસનો શિકાર બનાવી અને તેની હત્યા કરી લાશ જંગલમાં ફેંકીને ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે ઝીણવટભરી તપાસ કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, 11 વર્ષીય બાળકી 20 જૂનના દિવસે ગાયો ચરાવવા ગામની સીમમાં આવેલા જંગલમાં ગઈ હતી. ત્યારે 20 જૂનથી ગુમ થયેલી બાળકીનો 23 તારીખે હત્યા કરાયેલા શંકાસ્પદ હાલતમાં મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો હતો. સ્થાનિક પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો.

આ પણ વાંચોઃ હરણી બોટકાંડ મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અહેવાલ રજૂ કર્યો

બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી. જેમાં બાળકી સાથે દુષ્કૃત્ય કરી ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસે પૂછપરછ કરતા 25 વર્ષીય ફતેસિંહ રમેશ વસાવા નામનો આરોપી ઝડપાયો હતો. નર્મદા જિલ્લાના ગોડદા ગામના નાલાકુંડ ફળીયાનો રહેવાસી હતો.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

પોલીસે આકરી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે, 20 જૂનના દિવસે 11 વર્ષીય બાળકી ગામની સીમમાં આવેલા જંગલમાં ગાયો ચરાવવા ગઈ હતી. ત્યારે આરોપી મજૂરી માટે આવ્યો હતો અને એકલી બાળકીને જોતા તેની નજર બગડી હતી. રૂમાલથી બાળકીનું મોઢું દબાવી હાથ પગ બાંધી જંગલમાં લઈ ગયો હતો અને બાળકી સાથે દુષ્કર્મ કર્યું. બાળકીએ દાદાદાદીને કહી દેવાનું કહેતા આરોપીને પકડાઈ જવાની બીકે ઝાડની છાલ વડે બાળકીનું ગળું દબાવી હત્યા કરી નાંખી અને લાશને પાણી ભરેલી કોતરમાં નાંખી દીધી હતી. જો કે, લાશ પાણીમાંથી બહાર આવી જતા ફરી શેતાન લાશને બહાર કાઢી જંગલમાં લઈ ગયો હતો અને મૃતદેહ સાથે શરીરસંબંધ બાંધી લાશને જંગલમાં ફેંકી ભાગી છૂટ્યો હતો.