July 4, 2024

Rathyatra 2024: રથયાત્રાના દિવસે આ વિસ્તારોમાં ભૂલથી પણ વાહન પાર્ક ન કરતાં, નો પાર્કિંગ ઝોનને લઈને જાહેરનામું

અમદાવાદ: આગામી તા.7 જુલાઇ 2024નાં રોજ જગન્નાથ મંદિરની 147મી નગર રથયાત્રા નિમિત્તે અમદાવાદ શહેરનાં નીચે જણાવેલ વિસ્તારોના જાહેરમાર્ગોને 6 જુલાઇથી 7 જુલાઇ 2024ના રોજ બે દિવસ માટે “નો પાર્કીંગ ઝોન” જાહેર કરવામાં આવે છે.

નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલ રસ્તાઓ અને વિસ્તાર

જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, ઓસ્ટોડીયા ચકલા, (બી.આર.ટી.એસ.રૂટ સહીત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા,પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી.હાઇસ્કુલ, દીલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાંકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઇ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા. 6 જુલાઇ 2024ના રોજ રાતના 12 વાગ્યાથી થી તા. 7 જુલાઇ 2024ના રોજ નીકળનાર રથયાત્રા પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.

આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘંન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં ખાસ/સંયુક્ત/અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી, કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023ની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-131 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.