February 4, 2025

પોરબંદરમાં કો-ઓપરેટીવ સોસાયટીના સંચાલકે ઝેરી ઈન્જેક્શન લઈ આપઘાત કર્યો

પોરબંદર: પોરબંદરમાં સુદામા ચોક પાસે આવેલી કો.ઓપરેટીવ સોસાયટીના સંચાલકે પોતાની જ ઓફિસમાં ઝેરી દવાના ઇન્જેક્શન હાથે લઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. બનાવ અંગે કીર્તિમંદિર પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના જ્યુબેલી વિસ્તારમાં આવેલા ગુરુકૃપા ગેઇટ સામે રહેતા ભરત વિંજાભાઈ ઓડેદરા (ઉ.વ.40) નામના યુવકે ગત તા.2ના સાંજે સુદામા ચોક પાસે આવેલી પોતાની રામ લખન કો.ઓપરેટીવ સોસાયટીની ઓફિસમાં હતા. ત્યારે ઝેરી દવાના ઇન્જેક્શન પોતાના હાથે લઇ લેતા ઝેરી અસર થવાથી સારવાર માટે પ્રથમ પોરબંદર બાદ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કીર્તિમંદિર પોલીસને કરતા પોલીસ સ્ટાફે રાજકોટ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.