મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સંમેલન યોજાયું, વરઘોડા સાથે વટથી બહાર લાવવાનો સમર્થકોનો પડકાર

સાબરકાંઠા: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાના ગામ ઝાલાનગર ખાતે સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થકોએ સ્ટેજ પરથી ખુલ્લો પડકાર કર્યો હતો કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને વરઘોડા સાથે બહાર લાવીશું. 6 હજાર કરોડની ફરિયાદ બાદ 400 કરોડ થયાં હવે 172 કરોડની સરકાર વાત કરે છે.
ઝાલાનગર ખાતે સંમેલનમાં સમર્થકોએ સ્ટેજ પરથી પડકાર ફેંકતા કહ્યું કે, સાબરમતી જેલમાં બંધ ભૂપેન્દ્રસિંહ ઝાલાને વટથી બહાર લાવીશું. આ સાથે સંમેલનમાં આવનાર સમયમાં ક્ષત્રિય સમાજને એક મત થવા હાકલ કરાઈ હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલાના વતન ખાતે સંમેલનને લઈ પોલીસ તંત્ર પણ અજાણ હતું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં તોતિંગ બોર્ડ લાગ્યા બાદ સંમેલન યોજાયું હતું. બંને જિલ્લાના અનેક સ્થળો પર ‘We Support BZ’ નામના તોતિંગ બોર્ડ લાગ્યા છે. સંમેલનમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને વાજતે ગાજતે બહાર લાવવા એકમત થવા અપીલ કરવામાં આવી હતી.