October 5, 2024

કુપવાડામાં LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ 2 આતંકીઓને કર્યા ઠાર

Jammu Kashmir: સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. આર્મીના ચિનાર કોર્પ્સે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સેનાએ કહ્યું કે સુરક્ષા દળોએ ચાલુ ઓપરેશનમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. આ પહેલા ચિનાર કોર્પ્સે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું હતું કે જ્યારે સૈનિકોએ કુપવાડાના ગુગલધારમાં શંકાસ્પદ ગતિવિધિ જોઈ તો તેમણે ગોળીબાર શરૂ કર્યો.

બંને તરફથી ગોળીબાર કરવામાં આવ્યો. જેમાં અમારા જવાનોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા. સેનાએ કહ્યું કે તેને એન્કાઉન્ટર વિસ્તારમાંથી યુદ્ધ જેવા ભંડોળ મળ્યા છે જેની શોધ ચાલી રહી છે. એન્કાઉન્ટર બાદ વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અનેક જગ્યાએ બેરીકેટ લગાવીને આવતા-જતા દરેક વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આતંકવાદીઓને ખતમ કરવા માટે સતત ઓપરેશન
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓ દરરોજ અહીં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે અને હંમેશા આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનું આયોજન કરે છે. આનો સામનો કરવા માટે સુરક્ષા દળો હંમેશા તૈયાર છે. તાજેતરમાં જ રાજૌરીના થાનામંડી વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું. અહીં 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાના સમાચાર હતા.

આ પણ વાંચો: નવરાત્રિ કે ‘લવરાત્રિ’…? અનુપમ સ્વરુપ સ્વામીના બફાટનો વીડિયો વાયરલ

આ પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસના હેડ કોન્સ્ટેબલ બશીર અહેમદ કઠુઆના બિલવાર વિસ્તારમાં એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા. આ પહેલા કુલગામમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. જો કે આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારી સહિત પાંચ સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા હતા.