September 12, 2024

ICCના નવા અધ્યક્ષ બની શકે છે જય શાહ!

Jay Shah ICC New Chairman: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થશે. આ પહેલા મંગળવારે તેમણે પોતાની જાતને ત્રીજી ટર્મની રેસથી દૂર કરી લીધા હતા. જેમણે રમતના વૈશ્વિક સંચાલક મંડળમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના સચિવ જય શાહના ભાવિ વિશે અટકળોને તીવ્ર બનાવી હતી અને હવે મીડિયા સૂત્રોને ટાંકીને એવા અહેવાલ છે કે જય શાહને ICCના આગામી અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. તેમને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડનું સમર્થન પણ મળ્યું છે જેના કારણે આ વાત સામે આવી છે. તમને જણાવી દઈએ કે અધ્યક્ષ પદ માટે નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ છે.

જો જય શાહ તેમના સેક્રેટરી પદમાં એક વર્ષ બાકી રાખીને ICCમાં જવાનું નક્કી કરે છે તો તેમની પાસે BCCIમાં ચાર વર્ષ બાકી રહેશે. 35 વર્ષની ઉંમરે તે ICC ઇતિહાસમાં સૌથી યુવા અધ્યક્ષ બની શકે છે. જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહર એવા ભારતીય છે જેમણે અગાઉ ICCનું નેતૃત્વ કર્યું છે. ICC ચેરમેન દરેક બે વર્ષની ત્રણ મુદત માટે પાત્ર છે અને ન્યુઝીલેન્ડના વકીલ બાર્કલેએ અત્યાર સુધીમાં ચાર વર્ષ પૂરા કર્યા છે.

આ પણ વાંચો: બેટિંગમાં જસપ્રિત બુમરાહનો ‘શાનદાર રેકોર્ડ’, દિગ્ગજ બેટ્સમેન પણ નથી કરી શક્યા આવું

આઈસીસીએ એક મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું કે, આઈસીસીના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ બોર્ડને પુષ્ટિ આપી છે કે તેઓ ત્રીજી મુદત માટે ઊભા રહેશે નહીં અને નવેમ્બરના અંતમાં તેમના વર્તમાન કાર્યકાળના અંતે પદ છોડી દેશે. બાર્કલેને નવેમ્બર 2020 માં આઇસીસીના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2022 માં આ પદ માટે ફરીથી ચૂંટાયા હતા. આઈસીસીના નિયમો અનુસાર, અધ્યક્ષની ચૂંટણીમાં 16 મત છે અને હવે વિજેતા માટે નવ મતોની સરળ બહુમતી (51%) જરૂરી છે. અગાઉ અધ્યક્ષ બનવા માટે પદધારક પાસે બે તૃતીયાંશ બહુમતી હોવી જરૂરી હતી.

આઈસીસી એ કહ્યું, “હાલના ડિરેક્ટરોએ હવે આગામી ચેરમેન માટે 27 ઓગસ્ટ, 2024 સુધીમાં નોમિનેશન સબમિટ કરવાનું રહેશે અને જો એકથી વધુ ઉમેદવારો હશે તો ચૂંટણી યોજાશે અને નવા ચેરમેનનો કાર્યકાળ 1 ડિસેમ્બર 2024થી શરૂ થશે,.” બોર્ડ પરના સૌથી પ્રભાવશાળી ચહેરાઓમાંના એક તરીકે ગણવામાં આવે છે. તેઓ હાલમાં આઈસીસીના શક્તિશાળી ફાઇનાન્સ અને કોમર્શિયલ અફેર્સ સબ-કમિટીના વડા છે.

મોટાભાગના 16 વોટિંગ સભ્યો સાથે તેમના ખૂબ સારા સંબંધો છે. હાલમાં શાહ પાસે બીસીસીઆઈ સેક્રેટરી તરીકેના કાર્યકાળમાં એક વર્ષ બાકી છે, ત્યારબાદ તેમણે ઓક્ટોબર 2025 થી ત્રણ વર્ષનો ફરજિયાત બ્રેક (કૂલિંગ ઓફ પીરિયડ) લેવો પડશે. સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા બીસીસીઆઈના બંધારણ મુજબ, એક પદાધિકારી ત્રણ વર્ષના કુલિંગ ઓફ પીરિયડ પહેલા છ વર્ષ સુધી હોદ્દો સંભાળી શકે છે. કુલ મળીને એક વ્યક્તિ કુલ 18 વર્ષ સુધી આ પદ સંભાળી શકે છે – રાજ્ય એસોસિએશનમાં નવ વર્ષ અને બીસીસીઆઈમાં નવ વર્ષ.