July 4, 2024

કેનેડા સરકારના આ નિર્ણયથી ગુજરાતી વિદ્યાર્થીઓને લાગશે મોટો ફટકો

કેનેડાની સરકારે કેનેડામાં અભ્યાસ કરવાનું સપનું જોનારા વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. કેનેડા સરકારે નવી સ્ટુડન્ટ વિઝા પોલિસીની જાહેરાત કરી છે. આ પોલિસી અંતર્ગત સ્ટુડન્ટ વિઝામાં ઘટાડો કરાયો છે. નવી નીતિ હેઠળ કેનેડાએ સ્ટુડન્ટ વિઝામાં 35 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેને સૌથી વધારે અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે.

વિદ્યાર્થી વિઝા પર મર્યાદા
કેનેડા સરકારે નવી વિદ્યાર્થી વિઝા નીતિની જાહેરાત કરી છે. જેની સૌથી વધારે અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે. એક અહેવાલ અનુસાર કેનેડાના ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવા માટે વિદ્યાર્થી વિઝા પર મર્યાદા લાદવામાં આવી છે. આ મર્યાદા આગામી બે વર્ષ સુધી ચાલુ રહેશે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ઝડપથી વધી રહેલી સંખ્યાને કારણે કેનેડાના સ્થાનિક લોકોને બેરોજગારીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેનેડાના યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાચો: શું પાકિસ્તાન ઈરાન સાથે યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે?

વિદ્યાર્થીઓની સંખ્યા લાખોને પાર
કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 10 લાખને વટાવી ગઈ હતી. જેમાં સૌથી વધારે લગભગ 37 ટકા ભારતીય વિદ્યાર્થીઓ સામેલ છે. વર્ષ 2023માં ત્રણ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા ગયા હતા. સ્થાનિક મીડિયાએ આપેલી માહિતી અનુસાર ફેડરલ સરકાર વર્ષ 2024માં 3 લાખ 60 હજાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન અભ્યાસ માટે મંજૂરી આપવાનું લક્ષ્ય છે. જેની સરખામણી કરવામાં આવે તો ગયા વર્ષની સરખામણીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 35 ટકાનો ઘટાડો થશે. કેનેડાના આ નિર્ણયના કારણે ભારતીય વિદ્યાર્થીઓ પર મોટી અસર પડશે. આ પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓએ તેમની એક વર્ષની ટ્યુશન ફી ઉપરાંત તેમના ખાતામાં ઓછામાં ઓછા 20,635 કેનેડિયન ડોલર દર્શાવવાના રહેશે. કેનેડામાં સ્ટડી વિઝા મેળવવા માટે, વિદ્યાર્થીએ હાલમાં તેના એકાઉન્ટમાં 10 હજાર ડોલર દર્શાવવા જરૂરી છે.

ભારતીયો કેનેડાના નાગરિક બન્યા
2022ની વાત કરવામાં આવે તો 1.18 લાખ ભારતીયો કેનેડાના નાગરિક બન્યા હતા. વર્ષ 2013ની વાત કરવામાં આવે તો કેનેડાની નાગરિકતા મેળવનારા ભારતીયોની સંખ્યા 32 હજારની આસપાસ હતી. એક માહિતી અનુસાર ભારતીયો અમેરિકા કરતા વધારે કેનેડાને પસંદ કરી રહ્યા છે. ગયા વર્ષેની 2023ની વાત કરવામાં આવે તો એન્જિનિયરિંગ ભણવા માટે અમેરિકા જતા વિદ્યાર્થીઓની સંખ્યા 40 ટકા ઘટી હતી. જ્યારે કેનેડા જનારાની સંખ્યા ડબલ થઈ ગઈ હતી. હજુ પણ કેનેડા ભારતથી આવનારા લોકો પર નિયંત્રણ કરી શકવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.

આ પણ વાચો: ભારત સાથે તણાવ વચ્ચે રામ મંદિર માટે કેનેડાનો ચોંકાવનારો નિર્ણય, ભારતીયો મોજમાં