September 20, 2024

ખાડિયામાં જ્વેલર્સને ત્યાં લૂટ મામલે પોલીસની નિષ્ક્રિયતા સામે સોની વેપારીઓમાં રોષ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના ખાડિયામાં લૂટ વિથ ફાયરિંગ કેસમાં પોલીસને હજુ સુધી કોઈ સફળતા મળી નથી. ઘટનાના 17 દિવસ બાદ પણ આરોપીઓ નહિ પકડાતા અમદાવાદના સોની વેપારીઓ સુરક્ષાને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે, અમદાવાદના સીજી રોડ અને માણેકચોકના CCTV કેમેરા પણ બંધ છે. જેથી તંત્રની બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્ન ઉઠ્યા છે. જેથી જ્વેલર્સ માલિકો પોતાને અસુરક્ષિત માની રહ્યા છે.

 અમદાવાદના ખાડીયા વિસ્તારમાં તાજેતરમાં ફતાશા પોળમાં આવેલા જવેલર્સમાં ઘુસીને સોની વેપારી પર થયેલી ફાયરિંગ અને લૂંટ કેસમાં હજુ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી અને તપાસ દિશાવિહીન બની છે. ઘટનાના 17 દિવસ પસાર થઈ ગયા છે પરંતુ પોલીસ તપાસની વાતો કરી રહી છે. જેનાથી સોની વેપારીઓ અને પીડિત પરિવારમાં રોષ વધ્યો છે. જેને લઈને આ કેસની તપાસ સ્થાનિક પોલીસથી લઈને ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે સ્થાનિક પોલીસ તપાસના નામે ગેરમાર્ગે દોરી રહી છે. અને હજુ સુધી આરોપી સુધી પહોંચી શકી નથી. તેઓએ ક્રાઇમ બ્રાન્ચને આરોપી ઝડપી લે તેવી અપીલ કરી રહ્યા છે. એટલું જ નહીં પરિવારે આક્ષેપ કર્યો છે કે લૂંટના અડધો કલાક પહેલા જ CCTV કેમેરા બંધ થઈ ગયા હતા. જેથી આ લૂંટમાં જાણભેદુની સંડોવણી હોવાની આશકા વ્યક્ત કરી છે.

લૂંટારાઓ આંગડિયા પેઢી અને જવેલર્સના વેપારીને સોફ્ટ ટાર્ગેટ બનાવે છે. ત્યારે ખાડીયાની ધોળા દિવસે દિલધડક લૂંટ બાદ પણ હજુ સોની બજારો રામભરોસે છે. કારણ કે, અમદાવાદના સીજી રોડને આઇકોનિક રોડ કહેવામાં આવે છે. જ્યાં, સોની બજારમાં રોજની 100 કિલો સોનાની અવર જવર થતી હોય છે. પરંતુ, આ આઇકોનીક રોડ પર વેપારીઓ સુરક્ષિત નથી. કારણ કે આ રોડ પર CCTV બંધ છે. જે અંગે સ્થાનિક પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં CCTV ચાલુ કરવા પત્ર લખીને રજૂઆત કરી હતી.

એટલું જ નહીં સોની વેપારીઓ દ્વારા પણ અનેક વખત સુરક્ષા માટે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરે છે. ત્યારે બીજી બાજુ સીજી રોડ પર સીસીટીવી બંધ હોવાથી જવેલર્સ માલિકો પોતાને અસુરક્ષિત માની રહ્યા છે. જેથી સોની જવેલર્સ એસોસિએશન પ્રમુખ કહેવુ છે કે તંત્ર એ તકેદારી રાખીને આ CCTV કેમેરા તરત જ શરૂ કરી દેવામાં આવે. જેથી લૂંટ કે કોઈ મોટી ચોરી જેવી ઘટના અટકાવી શકાય. હાલમાં વેપારીઓ જવેલર્સમાં પોતાની સુરક્ષા માટે CCTVથી સજ્જ વેપારીઓએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં લૂંટારા કારમાં મહેસાણા સુધી પહોંચ્યો છે અને ત્યાંથી ગાયબ છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ટીમ બનાવી તપાસ શરૂ કરી

મહત્વનું છે કે વર્ષ 2013 અને 2014 માં જે રીતે વિશાલ ગોસ્વામી અને તેની ગેંગ દ્વારા સોનીઓને ટ્રાગેટ કરીને ફાયરિંગ અને લૂંટ કરીને આંતક મચાવ્યો હતો. તેવી જ દહેશત ફરી સોની વેપારીઓમાં વધી છે. ત્યારે હવે વેપારીઓ પોતાની સુરક્ષા માટે પોલીસને અપીલ કરી રહ્યા છે. અને સીસીટીવી વગર રામભરોસે સિજી રોડ પર સીસીટીવી શરૂ કરવા કહી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે પોલીસ કે મ્યુ. કોર્પોરેશન દ્વારા સીસીટીવી શરૂ કરે છે કે કોઈ મોટી બનાવ બનવાની રાહ જોઈ રહ્યા છે.