July 8, 2024

નાણા વિભાગના બે અધિકારીઓને ફરજિયાત ફરજમુક્ત કર્યા, બંને સામે તપાસ ચાલતી હતી

ગાંધીનગરઃ સરકારના નાણાં વિભાગ દ્વારા જાહેર હિતમાં નિર્ણય લઈને વધુ બે અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયર્ડ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, બંને અધિકારીઓ સામે અલગ અલગ વિભાગની ખાતાકીય તપાસ ચાલુ હતી.

રાજ્ય સરકારના નાણાં વિભાગ અંતર્ગતના નાયબ રાજ્ય વેરા કમિશનર વર્ગ-1નાં બે અધિકારીઓ ડીપી નેતા અને એસએચ ગાંધીને સેવાઓમાંથી તાત્કાલિક અસરથી તારીખ 5 જુલાઈ, 2024 બપોર બાદ અપરિપક્વ નિવૃત એટલે કે પ્રિમેચ્યોર રિટાયર્ડ કરવામાં આવ્યા છે. બંને અધિકારીઓ વિરુદ્ધ જુદા જુદા કેસોમાં વિભાગીય કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તો આ પહેલા 29 જૂનના રોજ રાજ્યના નાણાં વિભાગે વધુ 11 અધિકારીઓની બદલી કરી હતી. નાણાં વિભાગે મુખ્ય વેરા કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા 11 જેટલા સંયુક્ત રાજ્યવેરા કમિશ્નર વર્ગ 1 અધિકારીઓની જાહેરહિતમાં બદલી કરવાના આદેશો આપ્યા હતા. નાયબ રાજ્યવેરા કમિશનર વર્ગ 1 ને સંયુક્ત રાજ્યવેરા કમિશનર તરીકે હંગામી ધોરણે બઢતી આપવામાં આવી હતી. જેમાં, કુલ 8 જેટલા અધિકારીઓને હંગામી ધોરણે બઢતી આપવામાં આવી હતી.