August 8, 2024

દ્વારકાના સામુહિક આપઘાત મામલે વધુ બે આરોપીની ધરપકડ

દ્વારકાઃ ભાણવડના એક પરિવારના ચાર સભ્યોના આપઘાત મામલે પોલીસે વધુ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ સામુહિક આપઘાતની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે.

ભાણવડ પોલીસે સામુહિક આપઘાત મામલે શૈલેન્દ્રસિંહ ઝાલા અને જયદિપસિંહ ઝાલા નામના બે આરોપીની ધરપકડ કરી છે. આ પહેલાં વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગડા નામના બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. આમ, આ મામલે અત્યાર સુધીમાં કુલ 4 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના?
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધારાગઢ ગામે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. ધારાગઢ ગામે એક જ પરિવારના ચાર લોકોએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે. આ પરિવારે ભાણવડના ધારાગઢ ગામના ફાટક પાસે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. ત્યારબાદ ભાણવડ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને પરિવારજનોના મૃતદેહને ભાણવડ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.

મૃતકોનાં નામ
અશોક ધુંવા
લીલાબેન ધુંવા
જીગ્નેશ ધુંવા
કિંજલ ધુંવા