October 6, 2024

સાપુતારા ઘાટ પર બસ ખીણમાં ખાબકી, બે બાળકોનાં મોત

ડાંગઃ વરસાદી વાતાવરણ થતાં જ મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવી રહ્યા છે. ત્યારે વરસાદી માહોલમાં અનેક દુર્ઘટનાઓ બનતી હોય છે. સાપુતારા ઘાટમાં સુરતની એક લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં બે બાળકોનાં મોત નીપજ્યા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, સાપુતારા ઘાટમાં સુરતની એક ખાનગી લક્ઝરી બસ ખાબકી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સહિત 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી ચાલુ કરી હતી.

આ અકસ્માતમાં બે બાળકોનાં મોત નીપજ્યા છએ. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત લોકો સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, લક્ઝરી બસમાં કુલ 65 જેટલા લોકો સવાર હતા. ઇકો કારને બચાવવા જતા બસ ખીણમાં ખાબકી હતી. આ ઘટનાની જાણ થતાં જ સુરતની ખાનગી બસ એજન્સીના સંચાલકો પણ ઘટનાસ્થળે જવા માટે રવાના થઈ ગયા હતા. આ બસ સુરત-અમરોલી રુટની હોવાનું જાણવા મળ્યું છે.