May 18, 2024

અનંતનાગમાં મોટી દુર્ઘટના, ખીણમાં પડ્યું સેનાનું વાહન, એક જવાનનું મોત

Jammu-Kashmir Accident: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અનંતનાગમાં સેનાનું એક વાહન ખીણમાં પડી ગયું હોવાની માહિતી સામે આવી છે. આ દુર્ઘટનામાં સેનાના એક જવાનનું મોત થયું હતું અને લગભગ 9 લોકો ઘાયલ થયા હતા. પ્રારંભિક માહિતી અનુસાર આ અકસ્માત દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વેરિનાગ વિસ્તારમાં થયો હતો.

એક અધિકારીએ જણાવ્યું કે 19 આરઆરના લશ્કરી વાહને બાટાગુંડ વેરીનાગ ખાતે રસ્તા પરથી નિયંત્રણ ગુમાવ્યું અને ખાડામાં પડી ગયું. અત્યાર સુધીમાં સેનાના એક જવાનના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે નવ અન્ય ઘાયલ થયા છે. તેમણે કહ્યું, “તમામ ઘાયલ સૈનિકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.”

અનંતનાગ પોલીસે અકસ્માતની પુષ્ટિ કરી છે
દુર્ઘટના વિશે માહિતી આપતા અનંતનાગ પોલીસે કહ્યું કે કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમાચાર બતાવવામાં આવ્યા છે કે આતંકવાદીઓએ બટાગુંડ ટોપ, દુરુમાં સેનાના વાહન પર હુમલો કર્યો છે. જે સંપૂર્ણપણે પાયાવિહોણો છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ કોઈ આતંકવાદી હુમલો નથી. પરંતુ એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત હતો.

અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
પોલીસના જણાવ્યા અનુસાર સેનાના જવાનોને લઈ જઈ રહેલા એક વાહન પર કાબુ ગુમાવ્યો અને તે ખાડામાં પડી ગયું. આ દુર્ઘટનામાં સેનાના એક જવાનનું મોત થયું છે. જ્યારે સેનાના 9 જવાન ઘાયલ થયા છે. પોલીસે કહ્યું કે સામાન્ય લોકોને વિનંતી છે કે આવી અફવાઓ પર ધ્યાન ન આપે. અફવા ફેલાવનારાઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.