અમદાવાદના નરોડા પાટીયા વિસ્તારમાં ઘાતકી હુમલાની ઘટનામાં 4 આરોપીઓની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના નરોડા પાટીયા વિસ્તારમાં બે દિવસ પહેલા મોડીરાતે બે વ્યક્તિઓ પર ઘાતકી હુમલો થયાની ઘટના સામે આવી હતી. હુમલામાં એકનું મોત થયું તો અન્ય એક ઈજાગ્રસ્ત છે. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરી 4 આરોપીઓની ધરપકડ કરી, એક સગીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોણ છે આરોપીઓ અને કોના પર કરવામાં આવતો હુમલો. જોઈએ આ અહેવાલમાં…
અમદાવાદમાં ફરી એક વખત અસામાજિક તત્વોએ રસ્તે જતા લોકો પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા નરોડા પાટિયા રોડ પર બે અલગ અલગ રાહદારીઓ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને રાહદારીઓ ઘાયલ થયા હતા, જેમાંથી એક વ્યક્તિ ભરત ઠાકોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય વ્યક્તિ શિવ પ્રસાદ ગોસાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.. મૃતક ભરત ઠાકોર ખાનગી કંપનીમા લક્ઝરી બસ ચલાવે છે અને બસ મૂકી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો, જેમાં તેનું મૃત્યુ થયુ, તો અન્ય એક ઇજાગ્રસ્ત શિવપ્રકાશ ગોસાઈ અગરબત્તી વેચવાનું છૂટક કામ કરે છે. સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા સીસીટીવી તેમજ આસપાસના લોકોની પૂછપરછમાં ચારથી પાંચ જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે પોલીસે હુમલો કરનારા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પાંચ આરોપીઓ માંથી એક આરોપી સગીર હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસે હુમલો કરનારા આરોપી અભય પરમાર, રાજુ સોલંકી, સુનિલ રાઠોડ, હિતેન ઉર્ફ હિતેશ રાઠોડ તેમજ અન્ય એક સગીરની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી અભય પરમાર છે. અભય પરમાર જ્યારે સગીર હતો ત્યારથી ગુનાહીત પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અને સગીર હતો ત્યારે જેલવાસ ભોગવી ચૂક્યો છે. આરોપી અભય વિરુદ્ધ અગાઉ હત્યા, મારામારી સહિતની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આરોપી અભય પરમાર કુબેરનગર માર્કેટમાં છૂટક મજૂરીકામ કરે છે. અન્ય આરોપી રાજુ સોલંકી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.. રાજુ સોલંકી પણ કુબેરનગર શાકમાર્કેટમાં મજૂરી કામ કરે છે. આરોપી સુનિલ રાઠોડ મૂર્તિ બનાવવાનું છૂટક કામ કરે છે અને તે અવારનવાર હૈદરાબાદ ખાતે મૂર્તિ બનાવવા જતો હોય છે. આરોપી હિતેન ઉર્ફ હિતેશ નરોડા જીઆઇડીસી માં ક્રિષ્ના ગોડાઉનમાં નોકરી કરે છે અને માલ લોડિંગ અનલોડીંગનું કામ કરે છે. ચારેય આરોપીઓમાંથી મુખ્ય અભય અને રાજુ સોલંકી છે. ચારેય આરોપીઓ પૈસા માટે રાહદારીઓને ઉભા રાખે છે અને મોબાઈલ અથવા પૈસાની લૂંટ ચલાવે છે. જે કોઈપણ રાહદારી વિરોધ કરે છે તેના પર છરી વડે હુમલો કરવામાં આવે છે.
હાલ તો સરદારનગર પોલીસે ફરિયાદને આધારે સગીર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, ત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે હુમલો કરનારા આરોપીઓ દ્વારા અન્ય કોઈ રાહદારીને પોતાનો નિશાન બનાવ્યા છે કે કેમ અથવા તો અન્ય હુમલો અને લૂંટ જેવી ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે..