September 20, 2024

ગીર સોમનાથના ઈણાજ ગામની રસ્તાની સમસ્યા આખરે તંત્ર સુધી પહોંચી

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના ઈણાજ ગામના વારુડીવાડી વિસ્તારના લોકો છેલ્લા કેટલાય સમયથી ખરાબ રસ્તાને લઈને પરેશાન હતા. એટલે સુધી કે તેમણે સ્થાનિક રસ્તાની સમસ્યાને લઈને છેક રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પણ પત્ર લખવો પડ્યો. પરંતુ સ્થાનિક તંત્રને કાને આ વાત ન પહોંચી. જોકે, ન્યૂઝ કેપિટલના માધ્યમથી સ્થાનિકોની સમસ્યા તંત્ર સુધી પહોંચાડવામાં આવી. ન્યુઝ કેપિટલની ટીમે સ્થળ પર પહોંચી ખેડૂતોને વ્હારે આવી અને ખેડૂતોના પ્રશ્નોને કલેક્ટર સુધી વાત કરવામાં સાથ આપ્યો.

ગીર સોમનાથ જિલ્લાના ઈણાજ ગામના વારુડીવાડી વિસ્તારના લોકોએ રસ્તાના પ્રશ્નને લઈ છેક રાષ્ટ્રપતિને પત્ર લખવામાં આવ્યો છે. વડાપ્રધાન કાર્યાલયને પણ પત્ર લખાયો છે અને કલેકટર, ધારાસભ્યથી લઇ મુખ્યમંત્રી સહિતનાઓને પણ રજૂઆત કરવામાં આવી છે.આજ સુધી આ વાડી વિસ્તારનો ઈણાજથી દેવળી સુધીનો રસ્તો બન્યો નથી અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનો હલ થતો જ નથી.

ગામના ખેડૂતનું કહેવું છે કે અમારા ગામના વિસ્તારના લોકો પૈસા ભેગા કરી અને દર દિવાળીમાં આ રસ્તા ઉપર કાકરી નખાવે છે પણ ચોમાસા દરમિયાન વરસાદના પહેલા પાણીમાં ધોવાઈ જાય છે તેનું કારણ છે કે ફોરેસ્ટ ખાતાની 700 વિધા જમીન આવેલી હોય દેવળી સીમનું પાણી અહીંયા આવતું હોય જેના લીધે બંને જગ્યાથી પાણી આવે છે તેથી વધુ મુસીબતનો સામનો કરવો પડે છે ગામલોકોનો આક્ષેપ છે કે અમારા ગામમાં કોઈ નેતા ન હોય અને જો આ કોઈ નેતાનો રસ્તો હોય તો ફટાફટ બની જાય.

એક તરફ ગામે ગામ સીસી રોડ બને છે પણ આ વિસ્તારમાં હજી સુધી લોકો એ રોડ જોયો જ નથી કે રોડ કેવો હોય ત્યારે સ્થાનિક ખેડૂતનું કહેવું છે કે ચોમાસામાં તો અહીંયા ચાલાતું પણ નથી અને અમારા બાળકો સ્કૂલે પણ જઈ શકતા નથી. જ્યારે તમામ વિગત સાથે ન્યૂઝ કેપિટલ ની ટીમ દ્વારા કલેક્ટરને સ્થાનિક લોકોને સાથે રાખીને રૂબરૂ મૌખિક રજૂઆત કરવામાં આવેલ ત્યારે ગામના સ્થાનિક લોકોએ ન્યુઝ કેપિટલનો આભાર વ્યક્ત કરી અને ન્યૂઝ ચેનલને બિરદાવ્યા હતા.