February 5, 2025

મા નર્મદાનો પ્રાગટ્ય દિવસ, માંગરોળના ગ્રામજનોએ શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરી

પ્રવિણ પટવારી, નર્મદા: જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી પુણ્ય સલિલા મા નર્મદા, નર્મદા જિલ્લામાંથી પસાર થતી હોવાથી નર્મદા તટના ગામે ગામમાં નર્મદા જયંતીએ નર્મદા જિલ્લામાં ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી.

આજે મા નર્મદાનો પ્રાગટ્ય દિવસ હોવાથી નર્મદા જયંતિ સમસ્ત માંગરોળ ગ્રામજનો દ્વારા ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાઇ હતી. જેમાં નર્મદામાં મોટી હોડીઓને શણગારવામાં આવી. જેમાં એક મોટી નાવડી અને 10 હોડીઓનો કાફલો સાડીને સામે કિનારે લઈ જઈ બે કિનારે પહોંચી 1500 ફૂટ સાડી નર્મદાને મૈયાને અર્પણ કરાતા નર્મદે હરના નામથી નર્મદાકાંઠો ગુંજી ઉઠ્યો હતો.

નર્મદા જયંતિની ઉજવણી માટે નર્મદા તટે નર્મદા સ્નાન અને નર્મદાનું પૂજનનું પણ વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તજનોએ દીવડા પ્રગટાવી નર્મદા સ્નાનનો પણ લ્હાવો લીધો હતો. આજે નર્મદા જયંતિએ નાંદોદ તાલુકાના માંગરોળ ગામે ગ્રામજનો અને ભક્તો દ્વારા 1500 ફૂટ(500મીટર) સાડી(ચૂંદડી) નર્મદા મૈયાને અર્પણ કરવાનો વિશેષ કાર્યક્ર્મ યોજ્યો હતો. જેમાં વાજતે ગાજતે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં કળશ કન્યા, મહિલા મંડળની બહેનો સહીત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં ખાસ સુરતથી મોટા તાકામાં મંગાવેલી સાડીનો મોટો રોલ બનાવી બહેનો તથા ગ્રામજનોએ હાથમાં સાડી પકડી નર્મદા કિનારે પહોંચી 10થી 12 જેટલી નાવડીઓની મદદથી સામે કિનારે સાડીનો છેડો પહોંચાડી 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરી હતી. નર્મદા જયંતીની અનોખી વિશેષ ઉજવણી કરી હતી એ ઉપરાંત નર્મદા પૂજન, કન્યાપૂજન, સાડી પૂજન બાદ આરતીપૂજન પણ કરાયા. બાદમાં સાથે દીવડા પ્રગટાવી નર્મદામાં છોડવામાં આવ્યાં હતા.

એક જ કલરની આખી સાડી
1500 ફૂટની 100 જેટલી સાડીનો તાકો સુરતથી લાવવામાં આવ્યો હતો. જેને મોટા રોલ સ્વરૂપે વિટાળવામાં આવ્યો હતો. સાડી અર્પણ કર્યા બાદ આ સાડી પ્રસાદી રૂપે ગામની મહિલાઓને વિતરીત કરવામાં આવી હતી. ત્યાર બાદ સામૂહિક પ્રસાદીનો કાર્યક્રમ પણ રાખેલ છે. માંગરોળ મંગલેશ્વર ઘાટપાસે આ કાર્યક્રમનું આયોજન સમસ્ત ગામ વતી કરવામાં આવ્યુ હતું.