October 17, 2024

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની વધી સુરક્ષા, હવે મળશે Z શ્રેણીની સુરક્ષા

Chirag Paswan: કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ જૂથ)ના વડાને Z શ્રેણીની સુરક્ષા આપી છે. અગાઉ તેમની સુરક્ષા માટે SSB કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા હતા. દેશના અનેક નેતાઓને સુરક્ષા આપવામાં આવી છે. ભારતમાં કોઈપણ વ્યક્તિને સુરક્ષા આપવાનો નિર્ણય ગૃહ મંત્રાલય લે છે.

આ ‘Z’ શ્રેણીની સુરક્ષા હેઠળ ચિરાગ પાસવાન પાસે સુરક્ષા માટે 33 કર્મચારીઓ તૈનાત રહેશે, જેમાં તેમના નિવાસસ્થાન પર 10 સશસ્ત્ર ગાર્ડ, 24/7 ડ્યુટી પર 6 વ્યક્તિગત સુરક્ષા અધિકારીઓ (પીએસઓ) અને ત્રણ શિફ્ટમાં સશસ્ત્ર એસ્કોર્ટ માટે 12 કમાન્ડો હશે. આ સાથે 2 કમાન્ડો પાળીમાં સર્વેલન્સ ડ્યુટી પર રહેશે. જ્યારે 3 ડ્રાઇવરો ચોવીસ કલાક તેમની સુરક્ષા હેઠળ રહેશે.

પાસવાન ફ્રાંસના પ્રવાસે
કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલયના મંત્રી ચિરાગ પાસવાન બિહારના જમુઈથી સાંસદ છે. ચિરાગ પાસવાન હાલમાં 45મી વર્લ્ડ વાઈન કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ફ્રાન્સના ડીજોનમાં છે. ચિરાગ પાસવાને તેમના પિતાના પગલે ચાલતા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમજ પિતાના અવસાન બાદ તેમણે પાર્ટીની કમાન સંભાળી હતી.

ચિરાગ પાસવાને લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું અને સીટ વહેંચણી પછી ખાતામાં આવતી તમામ પાંચ બેઠકો જીતી લીધી. વર્ષ 2019માં પણ ચિરાગ પાસવાને પોતાની સીટ જાળવી રાખી હતી અને જીત મેળવી હતી.

ભારત સરકાર દ્વારા દેશના કેટલાક લોકોને X, Y, Y-Pulse, Z, Z-Pulse સ્તરની સુરક્ષા આપવામાં આવે છે. ગૃહ મંત્રાલય નક્કી કરે છે કે કઈ સુરક્ષા કોને આપવી. તેમજ SPG સ્તરની સુરક્ષા છે, જે દેશના વડાપ્રધાનને આપવામાં આવે છે.

આ પણ વાંચો: મુંબઈના આ 5 બૂથ પર નહીં લાગે ટોલ ટેક્સ, ચૂંટણી પહેલા શિંદે કેબિનેટનો મોટો નિર્ણય

ગુપ્તચર એજન્સીઓ એલર્ટ મોડ પર
NCP નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીને વાય કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી હતી. હુમલાખોરોએ બાબા સિદ્દીકી પર હુમલો કર્યો જ્યારે તેઓ તેમના પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા. આ હુમલામાં બાબા સિદ્દીકીને છાતીમાં બે ગોળી વાગી હતી. પોલીસ દરેક એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે. બાબા સિદ્દીકીના મોત બાદ ભારતની ગુપ્તચર એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જો કે, ચિરાગ પાસવાનની સુરક્ષા શા માટે વધારવામાં આવી તે અંગે હજુ સુધી માહિતી સામે આવી નથી, પરંતુ હવે ગૃહ મંત્રાલયે તેની સુરક્ષા માટે 33 સુરક્ષાકર્મીઓને તૈનાત કર્યા છે.