September 30, 2024

તમામ સામે કડક કાર્યવાહીની સૂચના, ચાણક્યપુરીની ઘટના બાદ પોલીસ એકશન મોડમાં…

Gandhinagar: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે ગઈકાલે મોડી રાતે ચાણક્ય પુરીના શિવમ એપાર્ટમેન્ટમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. તલવારો વડે સોસાયટીમાં પ્રવેશી હંગામો મચાવ્યો હતો. ત્યારે આ મામલે સોસાયટીના ચેરમેને સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે હવે ચાણક્યપૂરી અસામાજિક તત્વોના મામલો ગાંધીનગર પહોચ્યો છે.

મળતી માહિતી અનુસાર ચાણક્ય પુરીના શિવમ એપાર્ટમેન્ટમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જે બાદ અમદાવાદ પોલીસ હરકતમાં આવી છે. આ મામલે સરકારે શહેરના પોલીસ અધિકારીઓને ગાંધીનગર તાત્કાલિક બેઠક બોલાવી હતી. તેમજ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકને ગાંધીનગર બોલાવ્યા હતા. આ અંગે ગૃહમંત્રીએ વિગત વાર માહિતી લીધી હતી. જે બાદ આ ઘટનાની સખત શબ્દમાં ટીકા કરી હતી.

15 લોકો સામે ફરિયાદ નોંધાઈ

જોકે, હાલ આ ઘટના બાદ સોલા પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિ વિરુદ્ધ નામજોગ 15 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રવિ ઠાકોર, પરાગ ઠાકોર, મોન્ટુ ઠાકોર, અર્જુન ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફ્લેટમાં તપાસ કરતા વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો. તેમજ તમામ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: સીરિયા પર અમેરિકાનો હુમલો, એર સ્ટ્રાઈકમાં 37 અલકાયદાના આતંકીઓ ઠાર

ઉલ્લેખનીય છે કે આ મામલે સોસાયટીની મહિલાએ જણાવ્યું હતું કે, ‘અમારી કોઈ સેફ્ટી નથી રહી. ઘાટલોડિયાનો રવિ ઠાકોર અમને મારવાની ખુલ્લેઆમ ધમકી આપે છે.’ દારૂ મહેફીલમાં પાંચ લોકો નશામાં ફ્લેટની યુવતીની છેડતી કરી હોવાના આક્ષેપ પણ સોસાયટીવાસીએ કર્યા છે. છેડતી કરનારાને પકડી રાખતા અસમાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. તેમણે પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, પોલીસને જાણ કર્યા છતાં પણ આરોપીઓ નાસી ગયા બાદ આવી હતી.