May 17, 2024

લોકસભા ચુંટણીને લઈ ભાજપની તૈયારીઓ શરુ, અન્ય પાર્ટીઓના છે આવા હાલ, શું છે ગુજરાતનો મિજાજ ?

ls 2024 - newscapital

લોકસભા ૨૦૨૪ ની ચુંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ વર્ષ ૨૦૨૨માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં થયેલી હારના કારણો જાણી શકી નથી. કોંગ્રેસ દ્વારા અગાઉ વિધાનસભાની હારના કારણો જાણવા માટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની પણ રચના કરવામાં આવી હતી પણ એ કમિટીનો રીપોર્ટ પણ હજુ સુધી સામે આવ્યો નથી. તાજેતરમાં જ કોંગ્રેસે ગુજરાતમાં ચુંટણીને લઈને નવી નિમણુકો કરી હતી. છેલ્લા એક દાયકામાં કોંગ્રેસના પ્રદેશ સંગઠનમાં એકના એક ચેહારાઓથી ખુદ કોંગ્રેસના જ કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતના સોમનાથ મંદિરના ‘બાણ સ્તભં’નું રહસ્ય, સદીઓથી છે વણઉકેલાયેલું !

ls 2024 - newscapital
Modi – Shah

વર્ષ ૨૦૨૨ વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસની કારમી હાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને ગુજરાતના હોવાનો ફાયદો પણ ભાજપને મળી રહશે. આ બંન્ને ચહેરાઓની સામે પણ ગુજરાત કોંગ્રેસ પાસે કોઈ વિકલ્પ નથી. એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગુજરાતમાં કોઈ મોટી હરીફાઈ થાય તેવું હાલ પ્રતીત થતું નથી. વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા હતા. ત્યારબાદ વિધાનસભાની ચુંટણીમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. તાજેતરમાં જ પાંચ વિધાનસભાની ચુંટણીમાં પણ કોંગ્રેસ માત્ર એક જ રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ રહી હતી તેવામાં ગુજરતની જનતા કોંગ્રેસને લોકસભામાં તક આપે તેવા કોઈપણ પ્રકારના સંજોગો જોવા મળતા નથી. વધુમાં કોંગ્રેસના જીલ્લા સ્તરના સંગઠનો પણ છેલ્લા ઘણા સમયથી જાણે નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ભાજપના મુળિયા ગુજરાતમાં ખુબ ઊંડે સુધી ઉતારી ગયા હોય તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે. વિધાનસભાની હાર થયા બાદ કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓના વિવાદિત નિવેદનો પણ સામે આવ્યા હતા. ત્યારે આગામી લોકસભા ચુંટણીમાં પણ ગુજરાતમાં કોંગ્રેસ કઈ રણનીતિ સાથે જનતા વચ્ચે જાય છે તે પણ જોવું રહ્યું.

આ પણ વાંચો : 47 વર્ષમા શ્રેયસને આવ્યો હાર્ટએટેક, શું થયું હતું ફિલ્મ ‘વેલકમ-3’ના શુટિંગ પછી…?

ls 2024 - newscapital
Congress – Aap

આમ આદમી પાર્ટીના નેતાઓના કેસરિયા 

આદમી પાર્ટીએ ગુજરાતની કોર્પોરેશનની ચુંટણીમાં પ્રવેશ કરી પોતાની થોડી જગ્યા બનાવી હતી. શરૂઆતના વર્ષોમાં પાર્ટી સારું કરી રહી હોય તેવું લાગી રહ્યું હતું. પણ સમયની સાથે સાથે પાર્ટીના નેતાઓ પણ બદલાયા અને દિશાહીન પાર્ટી બનવા લાગી. વર્ષ ૨૦૨૩ વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ ખુબ પ્રચાર પ્રસાર કર્યો હતો પણ પાર્ટી કઈ ખાસ પરિણામ મેળવી શકી ન હતી. સમયની સાથે સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, કોર્પોરેટર અને અન્ય નેતાઓએ પણ કેસરિયા કરી લીધા. આમ હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટી માત્ર સોશિયલ મીડિયામાં જ હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ઈન્ડીયા ગઠબંધનમાં ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી શું સમીકરણો બનાવી શકે છે તેના પર પણ સૌ કોઇનીં નજર રહશે. પણ રાજકીય વિશ્લેષકોના મત પ્રમાણે હાલ ગુજરાતમાં ચૈતર વસાવા સિવાય આમ આદમી પાર્ટીનું ક્યાંય અસ્તિત્વ છે નહિ એટલે બેઠકોની વહેંચણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વિવાદો સર્જાય છે કે કેમ તે પણ જોવું રહ્યું.

આ તમામની વચ્ચે હાલ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જ જમીન પર સક્રિય હોય તે સ્પષ્ટ છે ત્યારે અગામી લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં ભાજપ ફરીથી ઐતિહાસિક જીત મેળવે તો નવાઈ નહિ.