September 10, 2024

આવનારા વર્ષમાં 100 કરોડ યુવાનો થઈ જશે બહેરા! વાંચો WHOનો ચોંકાવનારો રિપોર્ટ

અમદાવાદઃ તમે મેટ્રો, ટ્રેન, પાર્ક કે અન્ય કોઈપણ સાર્વજનિક સ્થળે લોકોને કાનમાં ઈયરફોન પહેરીને આસપાસના વાતાવરણથી સાવ અજાણ રહેતા જોયા જ હશે. ઘણી વખત તેમની આસપાસ કંઈક બનતું હોય છે, પરંતુ તેનો અવાજ તેમના કાન સુધી પહોંચતો નથી. ઈયરફોન, ઈયરબડ કે અન્ય સાંભળવાના ઉપકરણોને કારણે આવું થાય છે, પરંતુ કલ્પના કરો કે ભવિષ્યમાં લોકો ખરેખર બહેરા થઈ જશે તો શું થશે? જો લોકો સાથે બેઠાં હોય પણ એકબીજાને સાંભળતા ન હોય તો શું થશે? આ વિચારીને તમે ડરી ગયા હશો પણ આ હકીકતમાં બનશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આવનારા સમયમાં દુનિયાભરમાં 100 કરોડથી વધુ લોકો બહેરા થઈ શકે છે અને તેની પાછળનું કારણ કોઈ રોગચાળો નહીં, પરંતુ લોકોનો એક શોખ હશે.

WHOની મેક લિસનિંગ સેફ ગાઇડલાઇન પ્રમાણે, એવો અંદાજ છે કે 2050 સુધીમાં વિશ્વભરમાં 100 કરોડથી વધુ યુવાનો બહેરા બની શકે છે. આ યુવાનોની ઉંમર પણ 12થી 35 વર્ષની વચ્ચે હશે. ગાઈડલાઈન્સ કહે છે કે, સાંભળવાની આપણી ખરાબ ટેવને કારણે આવું થશે.

આ શોખ બોજારૂપ બની રહ્યો છે
માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં 12થી 35 વર્ષની વયના લગભગ 50 કરોડ લોકો વિવિધ કારણોસર સાંભળવાની અથવા બહેરાશની સમસ્યાથી પીડિત છે. તેમાંથી 25 ટકા એવા છે કે જેમના અંગત ઉપકરણો જેવા કે ઈયરફોન, ઈયરબડ, હેડફોન પર ખૂબ જ મોટા અવાજે સતત સાંભળવા ટેવાયેલા છે. જ્યારે લગભગ 50 ટકા લોકો એવા છે કે જેઓ મનોરંજનના સ્થળો, ક્લબ, ડિસ્કોથેક, સિનેમા, ફિટનેસ ક્લાસ, બાર અથવા અન્ય જાહેર સ્થળો પર લાંબા સમય સુધી મોટેથી સંગીત વગાડતા રહે છે. આવી સ્થિતિમાં જોરથી મ્યુઝિક સાંભળવાનો કે કાનના ઉપકરણોનો વધુ પડતો ઉપયોગ કરવાનો શોખ તમને બહેરા બનાવી શકે છે.

ઉપકરણોનું વોલ્યુમ શું હોવું જોઈએ?
સામાન્ય રીતે વ્યક્તિગત ઉપકરણોમાં વોલ્યુમ સ્તર 75 ડેસિબલથી 136 ડેસિબલ સુધી હોય છે. વિવિધ દેશોમાં તેનું મહત્તમ સ્તર પણ અલગ હોઈ શકે છે. જો કે, વપરાશકર્તાઓએ તેમના ઉપકરણોનું વોલ્યુમ 75 dBથી 105 dBની વચ્ચે રાખવું જોઈએ અને તેનો મર્યાદિત સમય માટે ઉપયોગ કરવો જોઈએ. વધુ પડતો ઉપયોગ કરવો કાન માટે ખતરારૂપ છે.

કયું વોલ્યુમ વધુ સલામત છે?
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હી ખાતે ઈએનટીના પ્રોફેસર ડૉ. બીપી શર્મા કહે છે કે ઉપકરણોમાં આવતું વોલ્યુમ પણ ઘણું વધારે છે. કાન માટે સૌથી સુરક્ષિત વોલ્યુમ 20થી 30 ડેસિબલ્સ છે. આ તે વોલ્યુમ છે જેમાં બે લોકો સામાન્ય રીતે બેસીને શાંતિથી વાત કરે છે. વધુ પડતા અવાજના સતત સંપર્કમાં રહેવાથી કાનની સંવેદનાત્મક કોષોને નુકસાન થાય છે.

અવાજથી થતી બહેરાશ મટાડી શકાતી નથી
ડૉ. શર્મા કહે છે કે, સૌથી ખરાબ વાત એ છે કે, ઉપકરણોના ઉપયોગથી થતી બહેરાશ ક્યારેય મટાડી શકાતી નથી. જોરદાર અવાજોના સતત અને લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે ઉચ્ચ આવર્તન જ્ઞાનતંતુઓને નુકસાન થાય છે. તે રિપેઇર કરી શકાતા નથી. નર્વને મટાડવા માટે ન તો કોઈ સર્જરી છે કે ન તો કોઈ દવા. તેથી બહેરાશ માટે નિવારણ એકમાત્ર ઉપચાર છે.