September 19, 2024

શું શાહજહાંને થશે ફાંસી? શિવરાજ ચૌહાણના બળાત્કાર વિરોધી બિલ પર મમતા પર પ્રહાર

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં દુષ્કર્મ વિરોધી બિલ પાસ થવા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે મંગળવારે કહ્યું કે આ આર જી કર હોસ્પિટલમાં દુષ્કર્મ-હત્યાની ઘટના પરથી ધ્યાન હટાવવાની રણનીતિ છે. તેમણે રાજ્ય સરકારને પૂછ્યું કે શું સંદેશખાલી યૌન શોષણ કેસના મુખ્ય આરોપી શેખ શાહજહાંને કાયદા હેઠળ મૃત્યુદંડ મળશે? ગયા મહિને કોલકાતામાં સરકારી આર જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક તાલીમાર્થી ડૉક્ટરની દુષ્કર્મ અને હત્યાના પગલે વિધાનસભાના બે દિવસીય વિશેષ સત્રમાં બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું.

મમતાએ અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ (વેસ્ટ બંગાળ ક્રિમિનલ લો એન્ડ એમેન્ડમેન્ટ) 2024ની રજૂઆત બાદ વિધાનસભામાં આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ બિલનો ઉદ્દેશ્ય ઝડપી તપાસ, ઝડપી ન્યાય અને દોષિતોની સજા વધારવાનો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય કૃષિ મંત્રી ચૌહાણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર મહિલાઓ પ્રત્યે અસંવેદનશીલ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, ‘દીદીએ દબાણ હેઠળ કાયદો બનાવ્યો છે. આરજી કાર હોસ્પિટલની દુષ્કર્મ-હત્યાની ઘટના પરથી ધ્યાન હટાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. તેમણે તેને અગાઉ કેમ ન લાવ્યું? તેમણે અગાઉ સહાનુભૂતિ કેમ ન દર્શાવી?’

આ પણ વાંચો: આખરે કેમ ભડક્યા કિમ જોંગ ઉન, પોતાના 30 અધિકારીઓને આપી દીધી ફાંસી

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા ચૌહાણે કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યે 2017માં સમાન કાયદો ઘડ્યો હતો. આ અંતર્ગત અત્યાર સુધીમાં 42 લોકોને ફાંસીની સજા આપવામાં આવી છે. તેઓ બેનર્જી પાસેથી જાણવા માગતા હતા કે શું આર જી કર મેડિકલ કોલેજ કેસના દોષિતો અને સંદેશખાલી જાતીય સતામણી કેસના મુખ્ય આરોપી તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા શાહજહાં શેખ જેવા લોકોને પણ નવા કાયદા હેઠળ મૃત્યુદંડ મળશે. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં ઘણી મહિલાઓએ જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું, ‘દીદીએ જવાબ આપવો જોઈએ. શું શાહજહાં શેખ જેવા લોકોને પણ આ કાયદા હેઠળ મૃત્યુદંડ મળશે? ધ્યાન હટાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. આવો કાયદો બનાવવાનો કોઈ અર્થ નથી.