September 19, 2024

કોણ છે જનરલ વકાર? જેમના હાથમાં આવી શકે છે બાંગ્લાદેશનું સુકાન

બાંગ્લાદેશ હિંસા: પાડોશી દેશ બાંગ્લાદેશમાં પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામા બાદ સેનાએ દેશની કમાન સંભાળી લીધી છે. સેનાએ જાહેરાત કરી છે કે તે અંતિમ સરકાર બનાવશે. બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર ઉઝ ઝમાંએ પ્રેસ કોન્ફરન્સમાં લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી અને કહ્યું કે તેમણે તમામ પક્ષો સાથે વાત કરી છે. હવે વચગાળાની સરકાર બનશે. આર્મી ચીફે એમ પણ કહ્યું કે હિંસક અથડામણમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ન્યાય આપવામાં આવશે.

જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં લગભગ 2 મહિનાથી અનામતના વિરોધમાં હિંસક પ્રદર્શન ચાલી રહ્યા હતા. જ્યારે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારે વિરોધીઓ સાથે કડક વ્યવહાર કરવાનું શરૂ કર્યું, ત્યારે તેઓ વધુ આક્રમક બન્યા અને મુદ્દો અનામતથી હટીને શેખ હસીનાના રાજીનામાની માંગ પર આવી ગયો અને સવિનય અસહકાર ચળવળ શરૂ કરી. 5 ઓગસ્ટના રોજ પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસ તરફ આગળ વધવા લાગ્યા હતા. બાદમાં, શેખ હસીનાને પોતાના પદની સાથે દેશ પણ છોડવો પડ્યો.

કોણ છે બાંગ્લાદેશ આર્મી ચીફ જનરલ વકાર?
શેખ હસીનાના રાજીનામા બાદ હવે એક રીતે બાંગ્લાદેશની સમગ્ર કમાન આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાના હાથમાં આવી ગઈ છે. વકારનો જન્મ 16 સપ્ટેમ્બર 1966 ના રોજ થયો હતો અને તેઓ બાંગ્લાદેશ આર્મીના 4 સ્ટાર જનરલ છે અને 23 જૂન 2024થી આર્મી ચીફનું પદ સંભાળી રહ્યા છે. આ પદ પર આવતા પહેલા તેઓ બાંગ્લાદેશ આર્મીના ચીફ ઓફ જનરલ સ્ટાફ (CGS) હતા. તે પહેલા તેઓ આર્મ્ડ ફોર્સ ડિવિઝનના પ્રિન્સિપલ સ્ટાફ ઓફિસર હતા.

જનરલ વકારે લંડનથી અભ્યાસ કર્યો છે
બાંગ્લાદેશના શેરપુર જિલ્લામાં જન્મેલા જનરલ વકાર ઉઝ ઝમાને ડિફેન્સ સર્વિસ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજમાંથી સ્નાતક કર્યું હતું. ત્યારબાદ, તેમણે ડિફેન્સ સ્ટડીઝમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. તેણે લંડનની કિંગ્સ કોલેજમાંથી ડિફેન્સ સ્ટડીઝમાં MAની ડિગ્રી પણ મેળવી છે.

ક્યારે જોડાયા સેનામાં?
વકાર ઉઝ ઝમાં 20 ડિસેમ્બર 1985ના રોજ બાંગ્લાદેશની મિલિટરી એકેડમીમાં જોડાયા હતા. ત્યારબાદ, ઈસ્ટ બંગાળ રેજિમેન્ટનો હિસ્સો બન્યા. સેનામાં તેમની સર્વિસ દરમિયાન, તેમણે નોન-કમિશન ઓફિસર્સ એકેડેમી, સ્કૂલ ઑફ ઇન્ફન્ટ્રી એન્ડ ટૅક્ટિક્સ, બાંગ્લાદેશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પીસ સપોર્ટ ઑપરેશન ટ્રેનિંગ (BIPSOT) જેવી સંસ્થાઓમાં પણ ભણાવ્યું હતું. આ ઉપરાંત, તેમણે બાંગ્લાદેશ વતી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લાઇબેરિયા અને અંગોલામાં મોકલવામાં આવેલા મિશનનું પણ નેતૃત્વ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેણે સેનામાં પ્રમોશન પણ મેળવવાનું ચાલુ રાખ્યું.