September 15, 2024

અંતરિક્ષ યાત્રા કરવાથી શરીરના આંતરિક અવયવો પર કેવી અસર થાય છે, જાણીને ચોંકી જશો

NASA: ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આ દિવસોમાં અવકાશમાં અટવાઈ ગયા છે. નાસાનું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તેમનું ઠેકાણું રહ્યું છે. અવકાશયાત્રીઓ પર એક અભ્યાસ બહાર આવ્યો છે. જેનાથી ખબર પડે છે કે અવકાશ યાત્રા કરવાથી તેમના શરીર પર શું અસર થાય છે. આ અભ્યાસ મુજબ, અવકાશ યાત્રાથી પેટના આંતરિક અંગોમાં આવા ફેરફારો થઈ શકે છે જે તેમની રોગપ્રતિકારક શક્તિ અને પાચન તંત્રને અસર કરી શકે છે. સંશોધકોએ કહ્યું કે પરિણામો એ સમજવામાં મદદ કરે છે કે લાંબા ગાળાના અવકાશ મિશન અવકાશયાત્રીઓના સ્વાસ્થ્યને કેવી અસર કરી શકે છે. આ અભ્યાસ ભવિષ્યની અવકાશ યાત્રા માટે ખૂબ જ મદદરૂપ થશે.

કેનેડામાં મેકગિલ યુનિવર્સિટીના સંશોધકોની આગેવાની હેઠળની એક ટીમે ત્રણ મહિનાના સમયગાળા માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ઉડાડવામાં આવેલા ઉંદરના આંતરડા, ગુદામાર્ગ અને લીવરમાં થયેલા ફેરફારોનું વિશ્લેષણ કરવા માટે આનુવંશિક તકનીકોનો ઉપયોગ કર્યો હતો. અમેરિકન સ્પેસ એજન્સી નાસા અથવા અન્ય અવકાશ એજન્સીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સહયોગમાં સ્થાપિત ISS એ પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થિત અવકાશયાન છે. તે એક વિશિષ્ટ વિજ્ઞાન પ્રયોગશાળા છે અને અંતરિક્ષમાં જનારા યાત્રીઓનું ઘર છે.

આ પણ વાંચો: ઓડિશા-આંધ્ર પ્રદેશ ઉપર બનેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

જોકે, આ અભ્યાસના લેખકોએ આંતરડાના બેક્ટેરિયામાં એવા ફેરફારો શોધી કાઢ્યા હતા જે ઉંદરના યકૃત અને આંતરડાના જનીનોમાં ફેરફારોને દર્શાવે છે. આ સૂચવે છે કે અવકાશ યાત્રા રોગપ્રતિકારક શક્તિ પર ભાર મૂકે છે અને ખોરાકને પચાવવાની પ્રક્રિયામાં ફેરફાર કરી શકે છે. ‘NPJ બાયોફિલ્મ્સ એન્ડ માઇક્રોબાયોમ્સ’ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં લેખકોએ લખ્યું છે કે આ ક્રિયાપ્રતિક્રિયાઓ ગટ-લિવર એક્સિસ, મેટાબોલિક સિસ્ટમ્સ અને રોગપ્રતિકારક પરિબળોને અસર કરતા સંકેતોમાં વિક્ષેપ સૂચવે છે. આ ગ્લુકોઝ અને લિપિડ્સ (ચરબી) ના નિયમનને પ્રેરિત કરે તેવી શક્યતા છે.

સંશોધકોએ કહ્યું કે આ અભ્યાસના પરિણામો ઘણી રીતે ફાયદાકારક સાબિત થશે. જેનાથી સુરક્ષાના પગલાં વિકસાવવામાં મદદ કરશે. આ ઉપરાંત તે ચંદ્ર પર લાંબા સમય સુધી રહેવાથી લઈને મંગળ પર માનવ મોકલવા સુધીના ભવિષ્યના સ્પેસ મિશનની સફળતામાં પણ ફાયદાકારક રહેશે.