September 19, 2024

જન્મદિવસ પર PM મોદી આપશે આ રાજ્યની મહિલાઓને વાર્ષિક ₹10,000ની ભેટ

Subhadra Scheme: PM નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમના 74માં જન્મદિવસે ઓડિશા સરકારની ‘સુભદ્રા યોજના’નો શુભારંભ કરશે. આ સિવાય પીએમ અન્ય ઘણી સામાજિક કલ્યાણ યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યભરમાં લગભગ એક કરોડ મહિલાઓને ‘સુભદ્રા યોજના’ હેઠળ આવરી લેવામાં આવશે. આ હેઠળ, 21 થી 60 વર્ષની વયની દરેક મહિલાને પાંચ વર્ષ માટે બે હપ્તામાં વાર્ષિક 10,000 રૂપિયાની રોકડ ટ્રાન્સફર કરવામાં આવશે. BJPના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાંથી લગભગ એક લાખ મહિલાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં વડાપ્રધાન મહિલા લાભાર્થીઓને નાણાકીય સહાયના પ્રથમ હપ્તાનું વિતરણ કરશે.

શું છે સુભદ્રા યોજના?
રાજ્યની ભાજપ સરકારે આ યોજનાને ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાના નામ પરથી નામ આપ્યું છે. ભગવાન જગન્નાથ રાજ્યના હિંદુઓના પૂજનીય દેવતા છે. આ યોજના દ્વારા 2028-29 સુધીના પાંચ વર્ષમાં, રાજ્યની એક કરોડથી વધુ મહિલાઓને વાર્ષિક 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ નાણાં દર વર્ષે રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચના અવસર પર મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

ઓડિશાના નાયબ મુખ્યમંત્રી પાર્વતી પરિદાએ કહ્યું કે રાજ્યમાં સુભદ્રા યોજના માટે નામ નોંધાવનાર 50 લાખથી વધુ મહિલાઓને 17 સપ્ટેમ્બરે 5000 રૂપિયાનો પ્રથમ હપ્તો મળશે. પરિદાએ જણાવ્યું હતું કે જે મહિલાઓએ 15 સપ્ટેમ્બર સુધીમાં આ યોજના માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને 17 સપ્ટેમ્બરે તેમના બેંક ખાતા દ્વારા પ્રથમ હપ્તો મળશે. યોજના હેઠળ, પાત્ર મહિલાઓને પાંચ વર્ષના સમયગાળા માટે દર વર્ષે બે હપ્તામાં રૂ. 5000 મળશે. રાજ્ય સરકારે વર્ષ 2024-25ના વાર્ષિક બજેટમાં આ યોજના માટે રૂ. 10,000 કરોડની અંદાજપત્રીય જોગવાઈ કરી છે.

સુભદ્રા યોજના એક ચૂંટણી વચન હતું
સુભદ્રા યોજના એ લોકસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપનું મુખ્ય વચન હતું. એવું માનવામાં આવે છે કે આ યોજનાએ રાજ્યમાં છેલ્લા 24 વર્ષના બીજુ જનતા દળના શાસનનો અંત લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ યોજનાને કારણે ઓડિશાની મહિલાઓ ભાજપ તરફ આકર્ષાઈ હતી. અગાઉ, નવીન પટનાયક સરકારની 24 વર્ષની ઇનિંગ પાછળ 6 લાખ મહિલા સ્વ-સહાય જૂથો હતા, જેની સાથે લગભગ 70 લાખ મહિલાઓ સંકળાયેલી હતી. વર્ષ 2001માં પટનાયકે મિશન શક્તિ દ્વારા લોન આપીને મહિલાઓને સીધા બજાર સાથે જોડવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેના કારણે મહિલાઓ બીજેડીની મજબૂત વોટ બેંક બની હતી.

નવીન પટનાયકની યોજનાનો સામનો કરવા અને ચૂંટણીમાં જીત મેળવવા માટે, ભાજપે મહિલાઓના ખાતામાં સીધા નાણાં ટ્રાન્સફર કરવા માટે સુભદ્રા યોજનાની ઓફર કરી હતી, જે અંતર્ગત દરેક મહિલાને રૂ. 50,000નું રોકડ વાઉચર આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આ પાંચ વર્ષમાં બે હપ્તામાં આપવાનું છે. 12 જૂને રાજ્યમાં મોહન ચરણ માંઝીના નેતૃત્વમાં ભાજપની પ્રથમ સરકાર બની ત્યારે પ્રથમ કેબિનેટ બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.