September 19, 2024

બાંગ્લાદેશ હિંસામાં અત્યાર સુધીમાં 72ના મોત, કર્ફ્યુ દરમિયાન શિક્ષણ મંત્રીના ઘર પર હુમલો

Violence in Bangladesh: પાડોશી દેશ બાંગ્લાદેશમાંથી ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશમાં હિંસામાં 14 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 72 લોકો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયા. સિલહટમાં ભારતીય હાઈ કમિશને ભારતના નાગરિકોને સતર્ક રહેવા અને સંપર્કમાં રહેવા જણાવ્યું છે. આ માટે હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે.

દેખાવકારોએ બાંગ્લાદેશના શિક્ષણ પ્રધાનના ઘરને નિશાન બનાવ્યું
બાંગ્લાદેશના બીજા સૌથી મોટા શહેર ચિત્તાગોંગમાં આગ લાગવાની માહિતી સામે આવી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પ્રદર્શનકારીઓએ શિક્ષણ મંત્રી મોહિબુલ હસન ચૌધરી નોફેલ અને ચિત્તાગોંગ સિટી કોર્પોરેશનના મેયરના નિવાસસ્થાનને નિશાન બનાવ્યું છે.

PM શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા હજારો દેખાવકારોને વિખેરવા પોલીસે ટીયર ગેસ છોડ્યા અને સ્ટન ગ્રેનેડનો ઉપયોગ કર્યો. સરકારે રવિવારે સાંજે 6 વાગ્યાથી અનિશ્ચિત રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુની જાહેરાત કરી હતી, ગયા મહિને વિરોધ શરૂ થયા પછી સરકારે આ પગલું પહેલીવાર લીધું છે.

બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિદ્યાર્થી આંદોલનમાં હિંસા ભડકી ચૂકી છે અને અત્યાર સુધીમાં દેશભરમાં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા છે. રાજધાની ઢાકા વિરોધનું કેન્દ્ર રહ્યું છે.

એએફપીના અહેવાલ મુજબ રવિવારે પ્રદર્શનકારીઓની ભીડ લાકડીઓ વગેરે લઈને આવી પહોંચી હતી. જ્યારે આ ભીડ ઢાકાની મધ્યમાં શાહબાગ ચોક પર એકઠી થઈ ત્યારે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઉગ્ર સંઘર્ષ થયો. આ સિવાય ઘણા સ્થળો અને મોટા શહેરોમાં રસ્તાઓ પર પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે સામસામે ઘર્ષણ થયું હતું. દેખાવકારોએ મુખ્ય રાજમાર્ગો બ્લોક કરી દીધા હતા. આ અથડામણમાં પોલીસની સાથે સત્તાધારી અવામી લીગના સમર્થકો પણ હતા, જેમની સાથે વિરોધીઓ સામસામે આવી ગયા હતા.