વાપી-બલિઠા બ્રિજ ખૂલ્યો એનાં બીજા જ દિવસે બંધ, વાહનચાલકો હેરાન-પરેશાન

વલસાડઃ જિલ્લાના વાપી-બલિઠા બ્રિજનું 59.92 કરોડના ખર્ચે નિર્માણ બાદ ગત રવિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને બીજા જ દિવસે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અંતે સાંસદે સ્થળની મુલાકાત લીધી છે.
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલિઠાથી નેશનલ હાઇવે નંબર 48ને જોડતા 59.92 કરોડના ખર્ચે નવનિર્મિત મુંબઈ વિંગ રેલવે ઓવરબ્રિજનું નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગત રવિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રેલવે ફાટક નં-81 પર બનેલા 900 મીટર લંબાઈ ધરાવતા બલિઠા રેલવે ઓવરબ્રિજના કારણે નેશનલ હાઇવે નં-48થી યુ.ટી. દમણ બોર્ડર (GIDC) તરફ અવરજવર માટે ઓછો સમય લાગશે.
આ ઓવરબ્રિજ વાપી શહેર અને મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને જોડતો હોવાથી આસપાસના ગામો બલિઠા, મોરાઈ, સલવાવ, આટિયાવાડ અને દમણના રહેવાસીઓને અવરજવરમાં સરળતા રહેશે. મુંબઈ અને વાપી તરફ જતા તેમજ નેશનલ હાઇવે-48થી દમણ તરફ વાહનવ્યવહારમાં સરળતા રહેશે. વાપીમાં વધતી ટ્રાફિક સમસ્યા હલ કરવા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
બ્રિજના લોકાર્પણ બાદ બીજા જ દિવસે રેલવે વિભાગ અને માર્ગ મકાન વિભાગ દ્વારા વધુ એક કામગીરી કરવા બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. અચાનક લોકાર્પણ થયેલો બ્રિજ બંધ થતાં વાહન ચાલકોએ સાંસદ ધવલ પટેલને રજુઆત કરી હતી. જેને લઈને સંસાદ ધવલ પટેલે વાપીના બલિઠા ખાતે રેલવે ઓવર બ્રિજ ખાતે ચાલી રહેલી કામગીરીની સ્થળ મુલાકાત લઈને બ્રિજની કામગીરી જલ્દી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. માર્ગ મકાન વિભાગના આધિકારીઓ અને રેલવે વિભાગના અધિકારીઓ.સાથે ચર્ચા કરી હતી. સોમવાર સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરી વાહનચાલકો માટે ફરી બ્રિજ ખુલ્લો મુકવામાં આવે તેમ તાકીદ કરી છે.