ધરમપુરના બામટી ગામે ત્રણ વર્ષ જૂની અદાવતને લઈ આધેડની હત્યા, લાકડું મારી ગંભીર ઇજા પહોંચાડી

વલસાડઃ ધરમપુર તાલુકાના બામટી જલારામ મંદિર ફળીયામાં ત્રણ વર્ષ જૂની અદાવતના કારણે નીતિન ઉર્ફે લાલુ મોહનભાઈ પટેલે લાકડાનો ફટકો મારી ચંદુભાઈ તળસીભાઈ પટેલ (ઉ.વ. 59)ની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.
ત્રણ વર્ષ જૂની અદાવતના કારણે વારંવાર ઝઘડો થતો
પ્રાપ્ત માહિતી મુજબ, ત્રણ વર્ષ અગાઉ લગ્ન પ્રસંગ દરમિયાન નાચવા બાબતે થયેલી અદાવતને લઈને ચંદુભાઈ અને નીતિન વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઝઘડા થતા હતા. ગઈકાલે રાત્રે અચાનક રસ્તામાં બંને ભેગા થઈ જતા બંને વચ્ચે ફરીથી તીવ્ર બોલાચાલી થઈ હતી.
લાકડાનાં ફટકાથી ગંભીર ઈજા, સારવાર દરમિયાન મોત
ઝઘડો વધતાં ઉશ્કેરાયેલા નીતિન પટેલે નજીકથી લાકડું લાવી ચંદુભાઈને ફટકો મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પરિવારના સભ્યોએ તાત્કાલિક બંનેને અલગ કર્યા અને ઈજાગ્રસ્ત ચંદુભાઈને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
ધરમપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ થતા ધરમપુર પોલીસ મથકના PI એનઝેડ ભોય અને PSI આરકે પ્રજાપતિએ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. હાલ ધરમપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ ચંદુભાઈ પટેલની લાશનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.