અમદાવાદના ચંડોળા તળાવની જેમ વડોદરાના રાજારાણી તળાવમાં ગેરકાયદેસર દબાણ

વડોદરા: અમદાવાદના ચંડોળા તળાવની જેમ વડોદરાના રાજા રાણી તળાવમાં ગેરકાયદેસર દબાણ કરાયેલું છે. ગુજરાત બહારથી આવેલા લોકોએ તળાવમાં ગેરકાયદેસર બાંધકામ કરી દીધું છે. જેમાં 160થી વધુ કાચા-પાકા મકાનો તળાવની અંદર બાંધી દીધા છે. આ સાથે તળાવમાં ટેમ્પરરી બ્રિજ પણ બનાવી દીધો છે.
વડોદરા કોર્પોરેશનની આજવાથી પસાર થતી મુખ્ય પાણીની લાઇન પર પણ મકાનો બાંધી દીધા છે. રાજા રાણી અને અજબડી મિલ તળાવમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. મામલતદાર પૂર્વ દ્વારા 4 મહિના પહેલા દબાણો દૂર કરવા નોટિસ આપી હતી. નોટિસ આપી છતાં દબાણો ઠેરના ઠેર જોવા મળી રહ્યા છે. ત્યારે કોર્પોરેશન, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દબાણો દૂર કરે તે જરૂરી છે.
વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવા મ્યુનિ કમિશનરને પત્ર લખ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ પણ તળાવો અને વિશ્વામિત્રી નદી પર થયેલા દબાણો દૂર કરવા માગ કરી છે. દબાણકર્તાઓએ કહ્યું કે, તંત્ર અમને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે પછી જ દબાણો દૂર કરીશું.