September 16, 2024

કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ જુનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાતે

સાગર ઠાકર, જુનાગઢ: ભારત સરકાર દ્વારા વાયુ જન્ય રોગના નિયંત્રણ માટે એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. હાલ દેશભરની 185 હોસ્પિટલોમાં આ પ્રોજેક્ટ કાર્યરત છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્રીય આરોગ્ય વિભાગની એક ટીમ હાલ જૂનાગઢ સિવિલ હોસ્પીટલની મુલાકાતે આવી છે અને ટીમ દ્વારા સિવિલ હોસ્પીટલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

બેકટેરીયા કે વાઈરસ થી ફેલાતા વાયુ જન્ય રોગોના નિયંત્રણ માટે શું પગલાં લઈ શકાય અને અસરકારક રીતે તેનું અમલીકરણ થાય તથા ટીબીની સારવાર સુવ્યવસ્થિત થાય તે માટે કેન્દ્રની સેન્ટ્રલ ટીબી ડિવિઝન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સહિતની 5 નિષ્ણાંતોની ટીમે જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં નિરીક્ષણ કર્યું હતું. આ ટીમ દ્વારા સિવિલ હોસ્પીટલના દરેક વોર્ડની મુલાકાત કરવામાં આવી હતી અને હોસ્પીટલમાં હવા ઉજાસ કેવા છે તથા દર કલાકે હવામાં કેટલો બદલાવ થાય છે તેની ચકાસણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સુરતના નગરસેવકોની ભ્રષ્ટાચારથી રંગાયેલી કરમકુંડળી, જાણો કોણ કેટલું ભ્રષ્ટ?

આ ટીમના નિરીક્ષણ બાદ તેના સૂચનો આવશે અને સૂચનોની સિવિલ તંત્ર દ્વારા અમલવારી કરવામાં આવશે. જેમાં, જરૂર જણાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરવો કે કેમ તે પણ નક્કી કરવામાં આવશે. આ નિરીક્ષણનો હેતુ દર્દીના હીતનો છે અને ટીમના રીપોર્ટ બાદ સિવિલમાં આ દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.