October 25, 2024

ફિલિપાઈન્સમાં ચક્રવાત ‘ટ્રામી’નો કહેર, ભારે ભૂસ્ખલન અને પૂરથી 33 લોકોના મોત

Trami Typhoons: ચક્રવાત ટ્રામીએ ફિલિપાઈન્સમાં તબાહી મચાવી છે. માહિતી અનુસાર, રાજધાની મનીલાના દક્ષિણમાં સ્થિત પ્રાંતમાં ચક્રવાત ‘ટ્રામી’ના કારણે વધુ 33 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક વધીને 65 થયો છે. આ વાવાઝોડાએ ફિલિપાઈન્સમાં પૂર અને ભૂસ્ખલનના કારણે તબાહી મચાવી છે. ફિલિપાઈન્સના પોલીસ વડાના જણાવ્યા અનુસાર, વાવાઝોડાના કારણે થયેલા ભૂસ્ખલનને કારણે મોટાભાગના લોકોના મોત થયા છે.

બટાંગાસના પોલીસ વડા કર્નલ જેસિન્ટો માલિનાઓ જુનિયરે જણાવ્યું હતું કે બટાંગાસ પ્રાંતમાં ભૂસ્ખલન અને પૂરના કારણે થયેલા મૃત્યુ સાથે ચક્રવાત ‘ટ્રામી’માં માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યા વધીને 65 થઈ ગઈ છે. શુક્રવારે ઉત્તર-પશ્ચિમ ફિલિપાઈન્સમાં ‘ટ્રામી’ ત્રાટક્યું હતું. માલિનાઓ જુનિયરે જણાવ્યું હતું કે અન્ય 11 ગ્રામજનો ગુમ છે. બચાવ કાર્યકરોએ સર્ચ ઓપરેશન દરમિયાન માથા અને પગનો એક ભાગ મેળવી લીધો હતો, જે કદાચ ગુમ થયેલી મહિલા અને બાળકના હતા.

લોકો માટે એલર્ટ જારી
ફિલિપાઈન્સમાં ચક્રવાત ટ્રામી અને ભૂસ્ખલનનો ખતરો હજુ સમાપ્ત થયો નથી. આવી સ્થિતિમાં લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. રાહત અને બચાવ ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદ પહોંચાડી રહી છે. અન્ય લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.