કરાચીથી અમદાવાદ આવેલા હેલિકોપ્ટર અંગે મોટો ખુલાસો, જાણો સમગ્ર માહિતી

અમદાવાદઃ કરાચીથી બે હેલિકોપ્ટર અમદાવાદ આવી પહોંચ્યા હતા. ત્યારે હવે સવાલ એ થાય છે કે, પાકિસ્તાન અને ભારત બંનેના એરસ્પેસ એકબીજા માટે બંધ કર્યા હોવા છતાં કરાચીથી અમદાવાદ હેલિકોપ્ટર પહોંચ્યા કેવી રીતે? ત્યારે આ મામલે ખુલાસો સામે આવ્યો છે.
મલેશિયની AGL/ALCC કંપનીના આ બંને હેલિકોપ્ટર છે. બંને હેલિકોપ્ટર ફ્યુઅલ માટે શાહજહાથી કરાચી થઈને અમદાવાદ પહોંચ્યા હતા. હેલિકોપ્ટરની ફ્યુઅલ કેપિસિટી ઓછી હોવાને કારણે વારંવાર ફ્યુઅલ માટે રોકાવવું પડે છે. આ હેલિકોપ્ટરની ઓરિજન કંપની વિદેશી હોવાથી ભારત અને પાકિસ્તાન બંનેના એરસ્પેસનો ઉપયોગ કરી શકે છે. હેલિકોપ્ટરમાં ચાર પાયલટ અને બે ફ્લાઈટ એન્જિનિયર છે.
બંને હેલિકોપ્ટર અમદાવાદથી આવતીકાલે ઈન્દોર, જબલપુર, રાંચી, કોલકાતા, બાંગ્લાદેશ થઈને મલેશિયા પહોંચશે. નોંધનીય છે કે, કરાચીથી ઉડેલા બે હેલિકોપ્ટર અમદાવાદમાં પહોંચ્યા હતા, N118NZ અને N114DV નંબરના આ બંને હેલિકોપ્ટર ભારતીય એરસ્પેસમાં જોવા મળ્યા હતા. જાણવા મળ્યું હતું કે, બંને હેલિકોપ્ટર દુબઈથી કરાચી ગયા હતા અને કરાચીથી અમદાવાદ આવ્યા હતા.