September 10, 2024

હિંદુઓને બચાવવા કોઈ નથી, બાંગ્લાદેશની હાલત સીરિયા જેવી: સાજિબ વાજેદ

Bangladesh: બાંગ્લાદેશમાં બળવા પછી હિંસા અટકી રહી નથી. હિન્દુઓ, શીખો અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સ્થિતિ ઘણી ચિંતાજનક છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદે કહ્યું છે કે આ તખ્તાપલટ પાછળ પાકિસ્તાનનો હાથ છે. બળવા દરમિયાન શેખ હસીનાની હત્યાનું કાવતરું પણ ઘડવામાં આવ્યું હતું. તેણે એ પણ જણાવ્યું છે કે શેખ હસીનાની ભાવિ યોજના શું છે અને બાંગ્લાદેશનું ભવિષ્ય શું હોઈ શકે છે.

બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના હાલ ભારતમાં છે. કડક સુરક્ષા વચ્ચે તે યુપીના હિંડન એરબેઝના ગેસ્ટ હાઉસમાં છે. તેમના પુત્ર સાજીબ વાજેદે કહ્યું છે કે શેખ હસીના હાલ ભારતમાં જ રહેશે. બાંગ્લાદેશમાં રમખાણો પાછળ પાકિસ્તાન અને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો હાથ છે.

હિન્દુઓને પણ વધુ નિશાન બનાવવામાં આવશે
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલા અંગે વાજેદે કહ્યું કે ત્યાંના હિંદુઓને બચાવવા માટે કોઈ નથી. હિન્દુઓને પણ વધુ નિશાન બનાવવામાં આવશે. બાંગ્લાદેશની હાલત સીરિયા જેવી થઈ ગઈ છે. બાંગ્લાદેશમાં અવામી લીગના લોકો નિશાના પર છે. તેઓ બિલકુલ સુરક્ષિત નથી.

આ પણ વાંચો: તમે હાર્યા નથી, તમને હરાવવામાં આવ્યા… વિનેશ ફોગાટની નિવૃતિ પર બજરંગ પુનિયાની પ્રતિક્રિયા

હિંસા અને નુકસાન ટાળવા અપીલ
બીજી તરફ બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને કહ્યું છે કે વચગાળાની સરકાર ગુરુવારે રાત્રે લગભગ 8 વાગ્યે શપથ લેશે. સલાહકાર પરિષદમાં 15 સભ્યો હોઈ શકે છે. નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારના વડા તરીકે શપથ લેશે.

યુનુસે તેનું નામ આગળ રાખનારા વિદ્યાર્થી આંદોલનના સંયોજકોને અભિનંદન પાઠવ્યા છે અને તેને બહાદુર વિદ્યાર્થી ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે આ વિદ્યાર્થીઓએ અમારો બીજો વિજય દિવસ શક્ય બનાવવા માટે પહેલ કરી છે. હું દરેકને શાંતિ જાળવવા અને હિંસા અને નુકસાનથી દૂર રહેવા અપીલ કરું છું.