September 12, 2024

ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરથી 3 શ્રમિકનાં મોત, 4 સામે ફરિયાદ

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ મૂળી તાલુકાના ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ગેસ ગડતરથી ત્રણ શ્રમિકનાં મોત નીપજ્યા છે. ત્યારે પોલીસે દ્વારા રાજકીય આગેવાનો સહિત 4 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પાયે કાર્બોસેલ બ્લેક ટ્રેપ અને સફેદ માટીનો મોટાપાયે ખનીજ ચોરી થતી હોવાના અનેકવાર કિસ્સાઓ સામે આવ્યા છે. આ ગેરકાયદેસર કાર્બોસેલની ખાણોમાં અનેક મજૂરોનાં મોત પણ નીપજ્યા છે. આ ખાણોમાં કોઈપણ જાતની સેફ્ટી વગર ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે.

ફરી એકવાર મૂળી તાલુકાના ભેટ ગામે કાર્બોસેલની ખાણમાં ત્રણ મજૂરોનાં ગેસ ગળતરથી મોત નીપજ્યા છે. ગેરકાયદેસર ખાણમાલિકો દ્વારા ત્રણેય મૃતકોને વાંકાનેર અને મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મૂળી પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન અથાગ પ્રયત્નો બાદ ડેડબોડીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

મોડી રાત્રે મૂળી વાંકાનેર રોડ પરથી ઇકો કારમાંથી ડ્રાઈવર ચાલક સાથે ત્રણ ડેડબોડીને કબજે કરવામાં આવી હતી અને મૂળી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારે પોલીસે દ્વારા માનવવધનો ગુનો દાખલ કરી ચાર શખ્સો સામે ફરિયાદ નોંધી છે. જેમાં જિલ્લા પંચાયતના સદસ્યના પતિ ખીમજીભાઇ સારોલીયા અને તાલુકા પંચાયત મૂળીના કારોબારી ચેરમેન કલ્પેશભાઈ પરમાર સહિત ચાર શખ્સો સામે મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે. ત્યારે ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.