બફાટ કરનાર સ્વામી દ્વારકાધીશ મંદિરમાં જઈને માગે માફી : આહીર સમાજ

Surat: ગઈકાલે સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામીએ દ્વારકાધીશ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જે બાદ હવે સુરતના પુણા ગામ ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આહીર સમાજના લોકોએ માગ કરી છે કે બફાટ કરનાર સ્વામી દ્વારકાધીશના નિજ મંદિરમાં જઈને સ્વામી માફી માગે.
મળતી માહિતી અનુસાર સુરતમાં આહીર સમાજ દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનો વિરોધ કરવામાં આવ્યો છે. આહીર સમાજના લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, જગતના નાથ દ્વારકાધીશ પર ટિપ્પણી કરવી સ્વામીઓને શોભતી નથી. તેમજ બની બેસેલા સ્વામીઓને સનાતન ધર્મની પૂરતી માહિતી નથી. બફાટ કરનાર સ્વામી દ્વારકાધીશના નિજ મંદિરમાં જઈને માફી માંગે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે એક નિવેદનમાં સ્વામીએ જણાવ્યું હતું કે, મહારાજ કહે છે કે અમે જ્યારે દ્વારકા ગયેલા અને દ્વારકાપતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે.’ આ વાતને વર્ષો પસાર થઈ ગયા બાદ મહારાજે વિચાર્યું કે આ વાતને સત્ય કરવાનો સમય આવી ગયો છે. મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો. આંખ ખોલીને જોઉં તો સ્વયંમ દ્વારકાધીશ સચ્ચિદાનંદ સ્વામીના સમક્ષ પ્રગટ થઈ ગયા. એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ. એવી રીતે દ્વારકાધીશ વડતાલ આવવા માટે સ્વામીની સાથે નીકળ્યા છે.