2017માં શ્રાવિકા પર દુષ્કર્મ આચરનારા જૈન મુનિને કોર્ટે દોષિત જાહેર કર્યો

અમિત રુપાપરા, સુરતઃ વર્ષ 2017માં ગુરુ-શિષ્યના સંબંધને કલંક લગાવતો કિસ્સો સુરતમાં સામે આવ્યો હતો. જેમાં જૈન મુનિ દ્વારા શિષ્ય શ્રાવિકા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં હવે જૈન મુનિને સુરત કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયો છે. વર્ષ 2017માં સુરતના નાનપુરા સ્થિત ટીમલિયાવાડ ખાતે આવેલા જૈન ઉપાશ્રયના શાંતિ સાગરજી જૈન મુનિ વિરુદ્ધ નોંધાયેલા દુષ્કર્મ કેસમાં સુરત નામદાર કોર્ટ દ્વારા ચુકાદો સંભાળવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા દુષ્કર્મ કેસમાં જૈન મુનિને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં આવતીકાલે સંભવત નામદાર કોર્ટ જૈન મુનિને સજા સંભળાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, જૈન મુનિએ વડોદરાની યુવતી અને તેના પરિવારને તાંત્રિક વિધિના બહાને સુરત બોલાવ્યો હતો. જ્યાં નાનપુરા ખાતે આવેલા જૈન ઉપાશ્રયમાં અલગ અલગ રૂમમાં પરિવારના સભ્યોને બેસાડી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં જૈન મુનિની અઠવા પોલીસે ધરપકડ કરી હતી.

વર્ષ 2017માં અઠવા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. વડોદરાની પીડિતાએ પોલીસ ચોપડે આ ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2017માં પીડિતા અને તેણીનો પરિવાર જૈન મુનિના સંપર્કમાં આવ્યા હતા. જૈન મુનિ શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજ્જનલાલ શર્માએ પીડિતા અને તેણીના પરિવારને વડોદરાથી સુરત બોલાવ્યો હતો. સુરત બોલાવી નાનપુરા ખાતે આવેલા જૈન ઉપાશ્રયમાં તાંત્રિક વિધિ કરવાની છે તેમ કહી અલગ અલગ રૂમમાં બેસાડ્યા હતા.

રૂમમાં બેસાડ્યા બાદ તાંત્રિક વિધિના બહાને પીડિતાને અલગ રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જ્યાં પીડિતાએ હિંમત દાખવી સમગ્ર બાબત માતા-પિતાને જાણ કરી હતી. જો કે, પરિવાર જૈન મુનિને ગુરુ માનતા હોવાથી પોલીસ ફરિયાદ કરવામાં પણ પાછીપાની કરી હતી પરંતુ તેમ છતાં પીડિતાએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવવા આગળ આવી હતી અને સુરતના અઠવા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસે અઠવા પોલીસ મથકમાં IPCની કલમ 376(1) 376(2)(f)હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરની ધરપકડ બાદ જેલભેગો કરવામાં આવ્યો હતો. દુષ્કર્મ કેસમાં અઠવા પોલીસે 200થી 250 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી હતી. પોલીસે કેસમાં પીડિતા, તેણીના માતા પિતા અને ભાઈના 167 મુજબના નિવેદન નોંધ્યા હતા. જ્યારે 60 પુરાવાઓ મૂકવામાં આવ્યા હતા. અલગ સાક્ષીઓને તપાસી મેડિકલ, FSL સહિત સાયન્ટિફિક પુરાવાઓ પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. જ્યાં દુષ્કર્મ કેસની ટ્રાયલ સુરત કોર્ટમાં ચાલી રહી હતી. જ્યાં આઠ વર્ષે સુરત નામદાર કોર્ટ દ્વારા આ કેસમાં આજ રોજ ચુકાદો આપ્યો છે. આ સમગ્ર કેસમાં નામદાર કોર્ટ દ્વારા મેડિકલ અને સાયન્ટિફિક પુરાવાના આધારે દોષિત જાહેર કર્યો હતો. જે કેસમાં આવતીકાલે સંભવત કોર્ટ સજા સંભળાવશે.

સરકારી વકીલ રાજેશ ડોબરીયાએ ચુકાદા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, સુરત કોર્ટમાં 200થી 250 પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. માતા-પિતા કરતાં પણ કોઈ વ્યક્તિ ગુરૂ સમક્ષ પોતાનું જીવન સમર્પિત કરતું હોય છે. શિષ્યનું જતન કરવાની નૈતિક ફરજ ગુરુની હોય છે. પરંતુ જૈન મુનિએ અધમ કૃત્ય કર્યું છે. મેડિકલ અને સાયન્ટિફિક પુરાવા તેમજ પીડિતાની જુબાનીને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે. તાંત્રિક વિધિના બહાને મુનિએ પીડિતાના માતા પિતા અને તેણીને સુરત બોલાવ્યા હતા. તાંત્રિક વિધિના બહાને બોલાવી અલગ રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચાર્યું હતું. સમગ્ર કેસમાં પીડિતાની માતા પિતા, ભાઈના 167 મુજબ નિવેદન નોંધવામાં આવ્યા. આ સમગ્ર કેસમાં 60 જેટલા પુરાવા રજૂ કર્યા હતા. અલગ અલગ સાક્ષીઓને તપાસવામાં આવ્યાહતા. સંભવત આવતીકાલે કામદાર કોર્ટ આ કેસમાં સજા સંભળાવશે.