ફ્રી સ્કીમ પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી, કહ્યું-આ કારણે લોકો કામ કરવા નથી માંગતા

Supreme Court Angry on Freebies Schemes: ચૂંટણી પહેલા રાજકીય પક્ષો દ્વારા ફ્રી સ્કીમોની જાહેરાત પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે લોકો એટલે જ કામ કરવા નથી માંગતા કારણ કે તેમને મફત રાશન અને પૈસા મળી રહ્યા છે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે મફત રાશન અને પૈસા આપવાને બદલે આવા લોકોને સમાજની મુખ્ય ધારાનો હિસ્સો બનાવવા વધુ સારું રહેશે જેથી તેઓ દેશના વિકાસમાં યોગદાન આપી શકે.
સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કેમ કરી?
જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જની બેન્ચે શહેરી વિસ્તારોમાં બેઘર લોકોને આશ્રય આપવા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. સુનાવણી દરમિયાન, એટર્ની જનરલ આર વેંકટરામણીએ જણાવ્યું હતું કે સરકાર શહેરી ગરીબી નાબૂદી કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે જે ગરીબ શહેરી ઘરવિહોણા લોકોને આવાસ આપવા અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ માટે મદદરૂપ થશે. સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલને સરકાર પાસેથી સૂચનાઓ લેવા અને આ કાર્યક્રમ ક્યારે લાગુ કરવામાં આવશે તે જણાવવા કહ્યું. કોર્ટ 6 અઠવાડિયા પછી કેસની વધુ સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટે પહેલાથી જ ઠપકો આપ્યો છે
નોંધનીય છે કે, આ પહેલી વાર નથી જ્યારે સુપ્રીમ કોર્ટે ફ્રી યોજનાઓ પર કેન્દ્રને ઘેર્યું હોય. ગયા વર્ષે, કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચને પૂછ્યું હતું કે રાજકીય પક્ષો હંમેશા ચૂંટણી પહેલા મફત યોજનાઓની જાહેરાત કેમ કરે છે. વધુ મત મેળવવા માટે રાજકીય પક્ષો ફ્રી યોજનાઓ પર આધાર રાખે છે અને તેનું ઉદાહરણ તાજેતરમાં યોજાયેલી દિલ્હીની ચૂંટણીમાં જોવા મળ્યું છે.