October 8, 2024

કોંગ્રેસ-NCPના જાહેર CM પદના ઉમેદવારને શિવસેના કરશે સમર્થન: ઉદ્ધવ ઠાકરે

Maharashtra Politics: મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે મહારાષ્ટ્રને બચાવવા માટે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે/UBT) કોંગ્રેસ અને NCP(શરદ પવાર) દ્વારા જાહેર કરવામાં આવેલા CM પદના કોઈપણ ચહેરાને સમર્થન આપશે. ભાજપ પર નિશાન સાધતા તેમણે દાવો કર્યો કે સરકાર મહારાષ્ટ્રમાં જાહેરાતોની મદદથી ખોટા અને બોગસ સમાચાર ફેલાવી રહી છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચની ટીમે રાજ્યની મુલાકાત લીધી છે અને તમામ પક્ષો પાસેથી તેમના મંતવ્યો લઈ ચૂકી છે. ચૂંટણી પ્રક્રિયા વિધાનસભાની મુદત પૂરી થાય તે પહેલા એટલે કે ડિસેમ્બર મહિના પહેલા પૂર્ણ કરવાની હોય છે. આવી સ્થિતિમાં રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ છે.

મહારાષ્ટ્ર સરકાર નકલી વાતો કરી રહી છે
મુંબઈમાં એક કાર્યક્રમને સંબોધતા પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આવતા મહિને સંભવિત વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર સરકાર જાહેરાતો દ્વારા રાજ્યમાં બોગસ વાતો કરી રહી છે. તેમણે સરકાર પર તેમની સાથે વિશ્વાસઘાત કરવા દબાણ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

લાયક મહિલાઓને 1,500 રૂપિયા આપવામાં આવે છે
ઉદ્ધવે કહ્યું કે, મહાયુતિ સરકાર ‘લડકી બહેન’ યોજના દ્વારા જનતાને પોતાના પૈસા આપીને ‘મહારાષ્ટ્ર ધર્મ’ સાથે દગો કરવા માટે મજબૂર કરી રહી છે. સરકાર પર નિશાન સાધતા ઠાકરેએ કહ્યું કે, આ યોજના હેઠળ રાજ્યમાં લાયક મહિલાઓને 1,500 રૂપિયા આપવામાં આવે છે.

દેશની ત્રીજી સૌથી મોટી વિધાનસભાના રાજકીય સમીકરણો
આ વખતે મહારાષ્ટ્રમાં રાજકીય હરીફાઈ ઘણી રસપ્રદ બનવાની શક્યતા છે. કારણ કે મહા વિકાસ અઘાડી (MVA) સરકાર લગભગ 25 મહિના પહેલા જૂન 2022માં પડી ભાંગી હતી. ત્યારબાદ, ભાજપ સમર્થિત સરકારની રચના કરવામાં આવી. શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) વચ્ચેના ભાગલા બાદ રાજ્યમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાશે. હાલમાં, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારને 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં 202 ધારાસભ્યોનું સમર્થન છે. ભાજપ 102 ધારાસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે. અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પાસે 40 ધારાસભ્યો છે. એકનાથ શિંદેના નેતૃત્વ વાળી શિવસેના પાસે 18 ધારાસભ્યો છે. 14 અપક્ષ ધારાસભ્યોએ પણ NDA સરકારને સમર્થન આપ્યું છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની સરકારને અન્ય પાંચ નાના પક્ષોનું પણ સમર્થન છે.

મહારાષ્ટ્રમાં વિપક્ષી કેટલું મજબૂત?
આ ઉપરાંત વિપક્ષની વાત કરીએ તો વિપક્ષી છાવણી (મહા વિકાસ અઘાડી – MVA)માં કુલ 71 ધારાસભ્યો છે. વિપક્ષમાં કોંગ્રેસ 37 ધારાસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી શિવસેના પાસે 16 ધારાસભ્યો છે. વરિષ્ઠ નેતા શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-SP) પાસે 12 ધારાસભ્યો છે. સમાજવાદી પાર્ટી પાસે બે ધારાસભ્યો છે, CPIM અને PWPI પાસે એક-એક ધારાસભ્ય છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના બે ધારાસભ્યો પણ વિપક્ષી છાવણીમાં છે. હાલ વિધાનસભાની 15 બેઠકો ખાલી છે.