June 30, 2024

કુવૈતમાં 10 ગુજરાતીઓની અચાનક ધરપકડ, તાત્કાલિક ભારત મોકલવાનું કહેતા હડકંપ

પાર્થ ભટ્ટ, સાબરકાંઠાઃ વિજયનગરથી 10 જેટલા યુવકોને કુવૈતમાં સ્થાનિક સરકાર દ્વારા અચાનક ધરપકડ કરી પરત સ્વદેશ મોકલવાની કામગીરી કરવામાં આવતા સ્થાનિક પરિવારજનો સહિત જિલ્લાભરમાં ભારે ખળભળાટ મચ્યો છે. જો કે, કુવૈતમાં 20 નંબરના વિઝાથી ગયેલા યુવકોને ધંધા રોજગારની સાથોસાથ ઉચ્ચ પગાર મળતો હોવા છતાં કુવૈતમાં આગના પગલે વહીવટી તંત્ર દ્વારા તમામને ગીચતામાં ન રહેવા માટે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ વિના અટકાયત કરતા પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે.

સાબરકાંઠાના વિજયનગરના 10 જેટલા યુવકોને કુવૈત સરકાર દ્વારા અચાનક રાત્રિના સમયે વીજલાઈન કાપી નાંખી હતી. ત્યારબાદ તમામને ખાનગી જગ્યામાં લઈ જતા ભારે હંગામો સર્જાયો છે. કુવૈત વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં લાગેલી આગના પગલે વસ્તી ગીચતા દૂર કરવા માટે લેવાયેલા આ પગલાથી અંદાજિત 700થી વધારે લોકો વહીવટી તંત્ર થકી પરેશાની ભોગવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સહિત રાજ્યસભા તેમજ લોકસભા સાંસદ તેમજ પ્રધાનમંત્રી, ગૃહ મંત્રી સહિત વિદેશ મંત્રાલયને આ મામલે જાણ કરી છે.

કોની કોની ધરપકડ કરવામાં આવી?
હિમાંશુ રસિકલાલ મોઢપટેલ
બીપિનકુમાર શિવલાલ મોઢપટેલ
મિલનકુમાર દિનેશભાઈ મોઢપટેલ
નિલવ અશોકભાઈ મોઢપટેલ
લલિતભાઈ દેવચંદભાઈ મોઢપટેલ
અનિલભાઈ નારાયણદાસ મોઢપટેલ
નટવરલાલ ભીમજીભાઈ મોઢપટેલ
બીપિનભાઈ કોદરભાઈ મોઢપટેલ
વિવેકભાઈ ખેમજીભાઈ મોઢપટેલ

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથજીની જળયાત્રાનું આયોજન, સાબરમતી કિનારે ગંગાપૂજન કર્યું

હાલમાં તમામ પરિવારજનો સ્વજનોને હેમખેમ પરત આપવા સહિત ધંધા નોકરી રોજગાર યથાવત રહે તે માટે કોઈપણ પ્રકારની અન્ય કાર્યવાહી ન થાય તે માટે વિનંતી કરી રહ્યા છે. જેમાં 10થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમના ફિંગર પ્રિન્ટ લઈ તેમની ભારત મોકલી દેવાશે તો તેઓ પરત ક્યારેય કુવૈત જઈ ધંધો-નોકરી કે રોજગાર કરી શકશે નહીં. તેના પગલે તમામ લોકોને આર્થિક દ્રષ્ટિએ ખૂબ મોટું નુકસાન થઈ શકે તેમ છે. આ સાથે વિદેશ વ્યાપાર કરવા માટે અન્ય દેશોમાં જવા માટે પણ ભારે પરેશાની ભોગવવી પડે તેમ છે. આ મામલે આગામી સમયમાં ભારત સરકાર દ્વારા ચોક્કસ રજૂઆત થાય તેવું પરિવારજનો કહી રહ્યા છે.