વડાલીમાં વ્યાજખોરોના ત્રાસથી પરિવારે ઝેરી દવા ગટગટાવી, 4નાં મોત; એકની હાલત ગંભીર

ચિરાગ મેઘા, સાબરકાંઠાઃ જિલ્લાના વડાલીમાં વ્યાજખોરોના ત્રાસથી એક પરિવારે સામુહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે એક દીકરી હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી એક આરોપીની અટકાયત કરી છે.
રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે કાયદો બનાવ્યા બાદ તેના ચુસ્ત અમલ માટે વિવિધ પગલાંની વાતો થઈ રહી છે. ત્યારે સાબરકાંઠાના વડાલી વિસ્તારમાં ફરી એકવાર વ્યાજખોરોના પગલે સગર પરિવારે સામુહિક આપઘાત કરવાની નોબત આવી હતી. જેના પગલે સગર પરિવાર ઝેરી દવા ગટગટાવતા માતા-પિતા સહિત બે પુત્રોના મોત થયા છે. તેમજ એકમાત્ર દીકરી હજુ પણ વેન્ટિલેટર પર જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ત્યારે વડાલી પોલીસ મથકે દીકરી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે બે વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ છે. તેમજ વડાલી પોલીસે આ મામલે એક આરોપીની અટકાયત કરી છે. આગામી સમયમાં આ મામલે વધુ નામ ખોલવાની સંપૂર્ણ સંભાવનાઓ છે.
સામાન્ય રીતે પરિવાર પર જ્યારે કોઈ આપદા આવે છે, ત્યારે પરિવારનો મોભી સૌથી પહેલા તૂટતો હોય છે. જો કે, વડાલીમાં સગર પરિવાર દ્વારા સામુહિક આપઘાત માટે ઝેરી દવા ગટગટાવ્યા બાદ એકબાદ એક પરિવારના ચાર સભ્યોનાં મોત થયા છે. તેમજ એક દીકરી હજુ પણ જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ત્યારે ફરી એકવાર વ્યાજખોરોના પગલે સમગ્ર પરિવાર હંમેશા માટે દુનિયા છોડીને ચાલી ગયો છે.
પોલીસે હાલમાં બેંકમાં રિકવરી એજન્ટનું કામ કરતા આરોપીની અટકાયત કરી છે, તેમજ અન્ય એકની તપાસ શરૂ કરી છે. આગામી સમયમાં વડાલી વિસ્તારમાંથી અન્ય વ્યાજખોરોના નામ પણ ખૂલવાની સંપૂર્ણ સંભાવનાઓ છે. તેમજ ઝડપાયેલા આરોપીઓ પાસેથી અન્ય નામો ખૂલવાની સંભાવનાઓ છે. બીજી તરફ મૃતકના મોબાઈલ તેમજ બેંક સ્ટેટમેન્ટના આધારે પણ અન્ય વ્યાજખોરોના નામ ખુલે તો નવાઈ નહીં.
સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં સામુહિક આપઘાતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આવનારા સમયમાં વ્યાજખોરો મામલે વધુ એકવાર ખળભળાટ સર્જાય તેમ છે. ત્યારે જોવું એ રહેશે કે, આગામી સમયમાં તંત્ર દ્વારા કેવા અને કેટલા પગલાં ભરાય છે. તેમજ પીડિત પરિવારથી એકમાત્ર બચેલી દીકરીને કેટલો ન્યાય મળે છે.
પકડાયેલો આરોપી
૧) ભદ્રરાજસિંહ ચૌહાણ