ઈડર-ખેડબ્રહ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત; 3 લોકોનાં મોત, 19 લોકો ઇજાગ્રસ્ત

સાબરકાંઠાઃ જિલ્લાના ઇડર-ખેડબ્રહ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 19 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સ્ટેટ હાઇવે એક તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે અને ડાઉન લાઇન પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે, ઇડર-ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક પાછળ જીપ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઇડર તરફથી મજૂરીકામ પૂરું કરી ઘરે જતા મજૂરોને અકસ્માત નડ્યો હતો. જીપ ગાડીમાં 40 કરતાં વધુ મુસાફરો સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જેમાં 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે 19 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમાંથી 15થી વધુ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે વડાલી ઇડર તરફ રિફર કરવામાં આવ્યા છે. જ્યારે 4 લોકોને ઇડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.