હિંમતનગર રેલવે સ્ટેશન પરથી મદ્રેસાના 8 બાળકો મળ્યા, માર માર્યો હોવાનું સામે આવતા પોલીસે તપાસ ચાલુ કરી

ચિરાગ મેઘા, સાબરકાંઠાઃ જિલ્લાના પ્રાંતિજમાં આવેલી લઘુમતી સમાજની મદ્રેસાના આઠ બાળકો આજે હિંમતનગર રેલ્વે સ્ટેશને જોવા મળતા સ્થાનિક પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં તમામ બાળકોને શરીર પર વધતા ઓછા પ્રમાણમાં માર મરાયો હોવાનું ખૂલતા રેલ્વે પોલીસે તમામને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા છે.
સાબરકાંઠાના પ્રાંતિજમાં આવેલી મદ્રેસાના આઠ જેટલા બાળકો હિંમતનગર રેલ્વે સ્ટેશન ઉપર જોવા મળતા સ્થાનિક પોલીસ અધિકારીએ બાળકોને નામ-ઠામ અને ટિકિટ બાબતે પૂછતા તેમને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. તેના પગલે રેલવે કર્મચારીએ બાળકોની વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તમામ બાળકો બિહારના હોવાનું ખુલ્યું હતું.
આ સાથે ગત રાતથી જ આઠ જેટલા બાળકો પ્રાંતિજમાં આવેલી મદ્રેસામાં સ્થાનિક કર્મચારી દ્વારા માર મરાયો હોવાના પગલે રાતના સમયથી જ તલોદ તરફ ચાલી નીકળ્યા હતા. જો કે, સવારે અસારવાથી હિંમતનગર તરફ આવતી મેમુ ટ્રેનમાં બેસી હિંમતનગર આવ્યા હતા. ત્યારે હિંમતનગર રેલ્વે પોલીસ દ્વારા તમામ બાળકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા.
તેમજ આઠમાંથી એક બાળકને વધુ માર મરાયો હોવાનું ધ્યાને આવતા સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે અને સીટી સ્કેન સહિત મેડિકલ ટીમ કામે લાગી હતી. જો કે, હાલમાં તમામ બાળકોની સ્થિતિ નોર્મલ બતાવવામાં આવી રહી છે. તેમજ આવનારા સમયમાં તમામને પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ વધુ વિગતો ખુલશે તે નક્કી છે.